પાકિસ્તાનની દોગલી નીતિ ફરી એકવાર સામે આવી છે. જે હાફિઝ સઈદે મુંબઈમાં તબાહી મચાવી એ જ હાફિઝ સઈદને એક વર્ષની નજરકેદ બાદ મુક્ત કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે હાફિઝ સઈદ મુક્ત થવા જઈ રહ્યો છે. લાહોર કોર્ટે નબળા તથ્યો અને પુરાવાના અભાવે હાફિઝ સઈદની નજરકેદ લંબાવવાનો ઇનકાર કર્યો છે અને તેને તુરંત મુક્ત કરવા આદેશ કરી દીધો છે.
મુબંઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાન મુક્ત કરવા જઈ રહ્યું છે. હાફિઝ સઈદ નજરકેદમાં મુકત થઈ રહ્યો છે. જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ વિરુદ્ધ પાકિસ્તાન પુરતા પુરાવા શોધી શકયું નથી અને એટલે જ લાહોરની કોર્ટે હાફિઝની નજરકેદ વધારવાનો ઇનકાર કરી દીધો છે. લાહોર હાઇકોર્ટે તાત્કાલિક અસરથી આતંકીને મુક્ત કરવા આદેશ કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનની દોગલી નીતિનો ફરી એકવાર પર્દાફાશ થયો છે.
હાફિઝની નજરકેદ વધારવા મુદ્દે ગત સપ્તાહે લાહોર કોર્ટમાં સુનાવણી થઈ હતી. પાકિસ્તાન સરકારે સુરક્ષાના કારણોસર ત્રણ મહિના સુધી નજરકેદ વધારવા માટે અપીલ કરી હતી. જોકે હાઇકોર્ટે સરકારની આ અપીલ ફગાવી દીધી છે.બુધવારે આ મુદ્દે સુનાવણી કરતા કોર્ટે હાફિઝ સઈદને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. પાકિસ્તાન સરકારની દલીલ હતી કે જો હાફિઝને મુક્ત કરાયો તે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર દબાણ વધશે આ સાથે જ પાકિસ્તાન પર નવા પ્રતિબંધો લાગુ પડી શકે છે. જોકે હાઇકોર્ટે પાક સરકારની દલીલ ફગાવી દીધી છે. કારણ કે હાઇકોર્ટ હાફિઝ વિરુદ્ધ પૂરતા પુરાવા માંગી રહી છે જે રજૂ કરવામાં તે નિષ્ફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ પાકિસ્તાનના આતંક નિરોધી કાનૂન 1997 અંતર્ગત 31 જાન્યુઆરી 2017થી લાહોરમાં નજરકેદ છે. અગાઉ તેની નજરકેદ 90 દિવસની હતી જેને વધારતા વધારતા લગભગ એકવર્ષ સુધી નજરકેદ રાખવામાં આવ્યો જોકે પાકિસ્તાન સરકારની નબળી રજૂઆતને પહલે હવે તે ખુલ્લી હવાઓમાં શ્વાસ લેવા જઈ રહ્યો છે.
હાફિઝ સઈદની મુક્તિ ભારત માટે ચિંતાજનક સ્થિતિ છે. જમાત ઉદ દાવાનો ચીફ હાફિઝ 2001માં સંસદ પર થયેલા હુમલામાં આરોપી છે આ ઉપરાંત 2008ના મુંબઈ ટ્રેન વિસ્ફોટો અને 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં પણ તેનો હાથ હતો. આ પૂર્વે ભારત સરકારે હાફિઝ સઈદ વિરુદ્ધ પાકિસ્તાનને અનેક પુરાવા આપ્યા છે. આમ છતાં પાકિસ્તાને હાફિઝ સઈદને સળિયા પાછળ ધકેલવામાં આનાકાની કરી રહી છે. તેની આ જ નીતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ટીકાનો સામનો કરી રહ્યું છે.