આ તો તમે બધા જાણો છો કે ભાઇબીજનો તહેવાર ભાઇઓ પ્રત્યે બહેનોની શ્રદ્ધા અને વિશ્વાસનો તહેવાર છે. આ તહેવારને દર વર્ષે કારતક સુદ બીજના દિવસે ઊજવવામાં આવે છે. પરંતુ એને ઊજવવાનું કારણ શું છે એ ખૂબ જ ઓછા લોકો જાણે છે. હકીકતમાં ભાઇ-બહેનનો સ્નેહનું પ્રતીક આ તહેવાર દિવાળીના બે દિવસ બાદ ઊજવવામાં આવે છે. એને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે.
ભાઈબીજ એટલે કે યમ દ્વિતીયા આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલું. અને બે વરદાન આપ્યાં હતાં. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. અને બીજું વરદાન એ આપ્યું હતું કે આજના દિવસે કોઈ પણ ભાઈનું અપમૃત્યુ નહીં થાય.
આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ ભાભી બાળકો સૌ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યું ખૂબ ખાધું હોવાથી આ દિવસે ખીચડી કઢી શાક રોટલા મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈની મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે. અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટ મહત્વની નથી હોતી મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવારનવાર જતી જ હોય છે પણ ભાઈનું પરિવાર સહિત જવું એવું તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. અને આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાંઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. પરંતુ ધન્ય છે આપણી આ ધાર્મિક પરંપરાને જેને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે.