ભાવનગરઃ 25 વર્ષની તપસ્યા બાદ આખરે કોંગ્રેસને તળાજાની વિધાનસભા હસ્તગત કરવાનું સ્વપ્નું સાકાર થયું છે. તળાજાને પોતાના સ્થાનિક કહી શકાય તેવા શિક્ષણ પ્રેમી અને સમાજસેવા કરનારા કનુભાઈ બારૈયા નામના ધારાસભ્ય મળ્યા છે. જો કે આ બેઠક ઉપર 25 વર્ષથી એક માત્ર કોળી સમાજનું વર્ચસ્વ હતું. તે તૂટી ને આ બેઠક હવે બ્રાહ્મણ સમાજના ફાળે આવી છે. ત્યારે અહીંના ધારાસભ્ય નું કહેવું છે કે તળાજાના પ્રાણ પ્રશ્નો માટે તેઓ સરકારમાં ચોક્કસ અવાજ ઉઠાવશે અને પ્રશ્નોનું નિરાકરણ લાવશે.
ભાવનગર જિલ્લાની 7 વિધાનસભાની ઓક્સિજયેલી ચૂંટણીમાં એક માત્ર બેઠક આ વખતે કોંગ્રેસને મળી છે. તે પણ તળાજા વિધાનસભા બેઠક આ બેઠક ઉપરથી કોંગ્રેસના કનુભાઈ બારૈયા વિજયી થયા છે.
મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામે જન્મેલ કનુભાઈ બારૈયાએ આમ તો રાજકારણમાં ૩૦ વર્ષ પહેલા પગલા માંડ્યા હતા. તેઓ ભાવનગર જીલ્લાના એન.એસ.યુ.આઈ.ના સભ્ય તરીકે રહ્યા હતા. આ સમયગાળામાં તેઓ શાંતિલાલ શાહ એન્જીનીયર કોલેજમાં જીએસ તરીકે ચૂંટાયેલા અને અહીંથી તેઓની રાજકીય કારકિર્દી શરુઆત થઇ હતી.
વિદ્યાર્થીઓના હિતની પ્રવૃત્તિ કરવી ગરીબ દર્દીઓના હોસ્પિટલનાં કામમાં મદદરૂપ થવું અને ખેડૂતોનાં પ્રશ્નોને વાચા આપવા હમેશા તેઓ અગ્રેસર રહ્યા છે. બીઈ સિવિલનો અભ્યાસ કરેલ કનુભાઈ કન્સ્ટ્રકશન ટ્રાન્સપોર્ટનો અને શિક્ષણનાં વ્યવસાય સાથે જોડાયેલ છે. કનુભાઈએ અત્યાર સુધીમાં ૬૦૦૦ થી વધુ લોકોના આંખના મોતિયાના ઓપરેશન કરાવી સમાજ સેવાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે. તેમની આ સમાજ સેવાના કારણે જ તેમને આ ધારાસભ્યનું પદ પ્રાપ્ત થયું છે તેમ તેઓ માની રહ્યા છે.
કનુભાઈ બારૈયા કોંગ્રેસ પક્ષના પ્રદેશ કક્ષા એ અનેક હોદ્દાઓ ધરાવે છે. આ ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલ છે. સામાન્ય રીતે તળાજામાં ૨૫ વર્ષથી ભાજપ સતા ઉપર રહેતું હતું. તે પણ કોળી સમાજનો દબદબો હતો. પરંતુ આં વખતે તમામના લોકોએ કનુભાઈને ટેકો આપતા આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. તળાજામાં ૨૫ વર્ષથી ભાજપની શાસન હતું. તેમ છતા અહી બંધારા યોજના જીઆઈડીસી અને રેલ્વે લાઈન તેમજ સરતાનપર બંદરના વિકાસના કામો થયા નથી જે કામો કરવા તેઓ સરકારમાં અવાજ ઉઠાવશે તેમ પણ જણાવ્યું હતું.
પીપરલા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા કનુભાઈ આજે ધારાસભ્ય થતા તેમને અભિનંદન આપવા લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે આવી રહ્યા છે કનુભાઈ ધારાસભ્ય થતા તેમના પરિવારજનો માં પણ ખુશી નો માહોલ જામ્યો છે.
નીડર પ્રમાણિક અને સ્વચ્છ પ્રતિમા ધરાવતાં કનુભાઈ બારૈયા ધારાસભ્ય થતાની સાથે જ લોકોમાં તળાજાના વિકાસને લઇને એક આશા બાંધણી છે. ત્યારે કનુભાઈ બારૈયા કેટલા સફળ થશે તે જોવું રહ્યું.