જાણીતા પ્રખ્યાત અભિનેતા ટૉમ ઑલ્ટરનું શુક્રવારી રાતે મુંબઈખાતે 67 વર્ષની જૈફવયે અવસાન થયું હતું. તે વાતની જાણકારી તેમના પુત્રે આપી હતી. અદાકાર ટૉમ ઑલ્ટર ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. હિન્દી સિનેમામાં પોતાના અભૂતપૂર્વ પ્રદાન માટે ટૉમ ઑલ્ટરને વર્ષ 2008માં પદ્મશ્રીથી નવાજવામાં આવેલ.
300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલ ટોમે કારકીર્દીની શરૂઆત 1990માં જુનુનમાં પાત્ર ભજવીને કરી હતી. શુક્રવારની રાત્રે લગભગ 9.30 વાગ્યે મુંબઈ સ્થિત પોતાના ઘરમાં ટૉમ ઑલ્ટરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 2 પુસ્તક પણ લખ્યા છે.
હિન્દી અને ઉર્દૂ ભાષામાં પોતાની મજબૂત પકડના કારણે ટૉમ ઑલ્ટરે ભારતીય સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમણે 1976માં ફિલ્મ ‘ચરસ’ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કસ્ટમ અધિકારીનો રોલ કર્યો હતો. બાદમાં તેમણે ‘ક્રાંતિ’ ‘હમ કિસી સે કમ નહીં’ ‘શતરંજ કે ખિલાડી’ ‘કર્મા’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોને ખુશ કરી દીધા હતા.
ઉપરાંત ટૉમ ઑલ્ટરે ટીવીના પરદે ‘કેપ્ટન વ્યોમ’ અને ‘શક્તિમાન’ જેવી ઘણી લોકપ્રિય સિરીયલોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે 80 થી 90ના દાયકામાં સ્પોર્ટસ પત્રકાર તરીકે કામ કર્યું હતું. માસ્ટર બ્લાસ્ટર સચિનનો પહેલો વીડિયો ઈન્ટરવ્યૂ તેમણે જ કર્યો હતો.
ટૉમ ઑલ્ટરે ત્રણ પુસ્તકો પણ લખ્યા છે. 1950માં મસૂરીમાં જન્મેલા ટૉમ ઑલ્ટરના માતાપિતા મૂળ અમેરિકાના હતા. તેમના દાદા દાદી 1916માં અમેરિકાથી ભારત આવી ગયા હતા. ટૉમ ઑલ્ટરનો પરિવાર દરિયાઈ રસ્તે ચૈન્નઈ આવ્યો હતો અને ત્યાંથી લાહોર ગયો હતો. ટૉમ ઑલ્ટરના પિતાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. ભાગલા બાદ તેઓ ભારતમાં આવતા રહ્યા હતા. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની ફિલ્મ ‘આરાધના’ થી પ્રેરણા લઈને ટૉમે એક્ટિંગના ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું હતું.