પાટણમાં ભાનુભાઈની મોત બાદ રાજ્યભરમાં દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સરકાર અને પીડિત પરિવાર વચ્ચે સમાધાન થયુ છે. દલિત આગેવાન ભાનુભાઇના પરિવારની માગ સ્વીકારવામાં આવી છે. આ સાથે જ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે. ભાનુભાઇના પાર્થિવદેહને ઉંઝા લઈ જવાનો છે. જયાં તેમને અગ્નિસંસ્કાર અપાશે.
સરકારે પીડિત પરિવારના 8 મુદ્દાઓ લઈને લેખિતમાં બાંહેધરી આપી છે.. સરકાર દ્વારા કલેક્ટરને 6 મહિનામાં જમીનનો કબ્જો આપવાના આદેશ આપવામાં આવ્યા છે. દુદખા ગામની જમીન પીડિત પરિવારના નામે કરવાનાં આદેશ પણ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં પરિવારને જમીન ફાળવી દેવા માટે મહેસુલ વિભાગને આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે પરિવારજનોની માંગ પ્રમાણે સીટની રચના કરાશે અને ભાનુભાઈને એવોર્ડ આપવાની રજૂઆત કરવા પર સરકાર દ્વારા વિચારણા કરાશે.
આ ઉપરાંત ઊંઝામાં ભાનુભાઈની પ્રતિમા મુકવા માટે નગરપાલિકાને ભલામણા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સમગ્ર મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે 3 દિવસમાં તપાસ કરીને સસ્પેન્શન સુધીના પગલા પણ લેવામાં આવશે અને ભાનુભાઈના આત્મવિલોપન બાદના આંદોલનમાં સરકાર દ્વારા દલિતો પર કરવામાં આવેલા કેસો પણ પરત ખેંચાશે.