ગાંધીનગરઃ ભાજપનું ગુજરાત ગૌરવ મહાસંમેલન યોજાવાનું છે. ગાંધીનગરના ભાટ ગામ પાસે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ સંમેલન ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે યોજાઈ રહ્યું છે. જે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ભાજપ દ્વારા 2 ઓક્ટોબરથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. અને રાજ્યમાં તમામ જગ્યાએ આ યાત્રા ફરી હતી. તો આવતીકાલના સંમેલનની વાત કરીએ તો ગુજરાત ગૌરવ યાત્રા મહાસંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાથે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ભાજપના નેતાઓ પણ આ સંમેલનમાં હાજર રહેશે.
આ કાર્યક્રમમાં ભાજપના પેજ પ્રમુખોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 7 લાખથી વધુ પેજ પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર કરાવવા માટે યોજાઈ રહ્યો છે. સાથે ભાજપ આ સંમેલન થકી 150 પ્લસનો વિજય ટંકાર કરશે.