અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૃ થઇ ગયું છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી આજે એક સપ્તાહમાં બીજી વખત ગુજરાત પ્રવાસે છે. અગાઉ નિર્ધારીત કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી ૧૬-૧૭ ઓક્ટોબર એમ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાતા હવે હાલ તેઓ માત્ર એક દિવસ પૂરતા ગુજરાત આવવાના છે.
આ અંગે ચીફ સેક્રેટરી જે.એન.સિંઘે જણાવ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ૩ થી ૩ઃ૩૦ દરમિયાન એરફોર્સના વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે જ્યાંથી તેઓ સીધા જ ભાટ ગામ ખાતે રવાના થશે. ભાટ ગામમાં ભાજપના કાર્યકરોને સંબોધ્યા બાદ તેઓ સાંજે જ દિલ્હી પરત ફરવાના છે. '
ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ૧ ઓક્ટોબરથી શરૃ કરાયેલી 'ગુજરાત ગૌરવ યાત્રા'ના સમાપન નિમિત્તે આવતીકાલે 'ગુજરાત ગૌરવ મહાસંમેલન' યોજાશે.
જેમા નરેન્દ્ર મોદી ભાજપના સેંકડો કાર્યકરોને સંબોધવાના છે. 'ગૌરવ યાત્રા'એ ૧૫ દિવસમાં વિધાનસભાની ૧૪૯ બેઠકનું અંદાજે ૪૪૭૧ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. નરેન્દ્ર મોદીની છેલ્લા એક મહિનામાં ગુજરાત મુલાકાત છે. બરાબર એક મહિના અગાઉ નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે ગુજરાત આવ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઇને અમદાવાદ એરપોર્ટ ખાતે સલામતી બંદોબસ્ત પણ જડબેસલાક કરી દેવામાં આવ્યો છે.
અગાઉ એવી અટકળો હતી કે દિવાળી અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હવે નરેન્દ્ર મોદીના ૨૩મીના ગુજરાત પ્રવાસ દરમિયાન કરોડો રૃપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ થવાનું છે. જેના કારણે તેના બે દિવસમાં એટલે કે ૨૪-૨૫ ઓક્ટોબરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.