સુરેન્દ્રનગરમાં ભર શિયાળે વઢવાણના વડોદ ડેમમાંથી પાણી છોડાતા તંત્રની સૌથી મોટી બેદરકારી સામે આવી છે.ચૂંટણી આવતા રાજકીય તરફેણથી નિર્દોષ ખેડૂતો તંત્રની બેદકારીનો ભોગ બન્યા છે. જુઓ આ છે ગરીબ ખેડૂતોના ખેતર ..જયાં મહામહેનતે અને મોંઘા બિયારણથી ખેડૂતોએ ખેતી કરી હતી.
જયાં ઘરેણા ગીરવે મુકીને બિયારણ ખરીદીને ખેડૂતોએ વાવણી કરી હતી પરંતુ સિંચાઇ વિભાગની લાપરવાહીના કારણે આ ખેડૂતોના ખેતરોમાં ડેમના પાણી ફરી વળ્યા છે.ખેડૂતોની હજારો હેકટર જમીનમાં વાવેલ પાક ધોવાઇ ગયા છે.જેથી ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે.. ગામના લોકોને જાણ કર્યા વગર પાણી છોડાતા તંત્રની અહી ગંભીર ભૂલ સાબિત થઇ છે.
લીંબડી તાલુકાના પાણશીણા ભોજપરા કાનપરા દેવપરા જનશાળી બરોલ ચોકી સહીત ભાલ પંથકના અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.જેથી ચણા કપાસ જીરૂ ઇસબગુલ ઘઉં સહીતના શિયાળો પાક ધોવાઇ જતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું.આ પાંચ ગામની ત્રણ હજાર વીઘા જમીન પર ચણા અને ઘઉંનો ઉભો પાક પાણીમાં ડુબી ગયો હતો.
જ્યારે આ અંગે ખેડૂતો સહીત સ્થાનિક આગેવાનોએ રાજકીય ઈશારે તેમજ કોઈ પણ જાતની અગાઉ જાણ કે નોટિસ આપ્યા વગર પાણી છોડયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતોએ કલેકટરને રજૂઆત કરી હતી. જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરી હતી.. અને નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સરકાર દ્વારા વળતર ચુકવવાની માંગ કરી હતી.. બીજી તરફ ખેડૂતોએ મત માટે પાણી છોડયું હોવાનુ જણાવ્યું હતું.