થરાદ: બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ બન્યાં છે. એક તરફ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ તસ્કરો ઠંડીનો લાભ લઈ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. એક બાજુ એક જ રાતમાં પાંચ ઘરમાં ચોરી થઇ તો બીજી બાજુ જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે. ત્યારે ભગવાન પણ આ તસ્કરોથી બાકાત નથી રહ્યા.
મળતી માહિતી અનુસાર થરાદના રાજેદ્ર નગર સોસાયટીમાં આવેલા જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો. તસ્કરો દેરાસરના પાછળના દરવાજાને સળગાવી બાકોરું પાડી મંદિરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં સીસીટીવી કેમેરાને ફેરવી દઇને પેટીમાં પડેલી રોકડ લઈને ફરાર થઈ ગયા. ચોરી થયા હોવાની જાણ થતાં જ પૂજારી અને જૈન સમાજના અગ્રણીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે ગત રાતે જ બનાસકાંઠામાં લાખણીમાં ાવેલા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. એક જ રાતમાં એક સાથે પાંચ મકાનોના તાળા તૂટ્યા હતાં. વારંવાર આવી ચોરીઓ થવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાઇ ગયો છે.