અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખારી ગામની જીવનજ્યોત વિદ્યાલયમાં ભણવા આવતી નપડા ગામની વિદ્યાર્થિનીઓ અવાર-નવાર છેડતીનો ભોગ બનતી હોવાની ફરિયાદ ઉઠી છે. ખારી ગામના કેટલાંક અસામાજિક તત્વો આ વણજારા કોમની વિદ્યાર્થિનીઓની છેલ્લાં ઘણા સમયથી છેડતી કરીને પજવી રહ્યા હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કરતાં સનસનાટી મચી ગઈ છે.
વિદ્યાર્થિનીઓએ આ બાબતે શાળાના શિક્ષકોને પણ ફરિયાદ કરી હતી પરંતું શિક્ષકો કે શાળાના આચાર્યએ આ બાબતે કશું જ ધ્યાન આપ્યું નથી ઉલટાનો વિદ્યાર્થિનીઓને ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના પરિવારજનો દ્વારા અસામાજિક તત્વોને છેડતી બાબતે ઠપકો આપવા જતાં અસામાજિક તત્વોએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો. જેમાં યુવતીઓનો પક્ષ લેનાર એક યુવાનને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. વિદ્યાર્થિનીઓને સ્કૂલે આવવા જવામાં અસુરક્ષા અનુભવાતાં સ્કૂલમાંથી નપડા ગામના 81 વિદ્યાર્થીઓએ સાગમટે સ્કૂલ છોડી દેવાના નિર્ણય સાથે લિવિંગ સર્ટીની માગ કરી છે.