દિલ્હીના મુખ્ય સચિવ સાથે ગેરવર્તુણક મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલની અટકાયત કરવામાં આવી છે.એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પ્રકાશ જારવારની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.તો આ અટકાયતને લઈ દિલ્હી પોલીસ સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સવાલો ઉઠાવ્યા છે.
કોર્પોરેટર પ્રેમ ચૌહાણે આક્ષેપ લગાવ્યો છે દિલ્હી રાજકીય રીતે પ્રેરિત થઈને કાર્યવાહી કરી રહી છે.બીજી તરફ આપના અન્ય એક ધારાસભ્ય અમાન તુલ્લાખાનની પોલીસ શોધખોળ કરી રહી છે.મહત્વનું છે કે સોમવારે રાત્રે મુખ્યમંત્રી કેજરીવાલના બંગલે યોજાયેલી બેઠકમાં દિલ્હીના મુખ્ય સચિવ ઉપસ્થિત હતા.જેમાં આપના ધારાસભ્યોએ તેમની સાથે મારામારી કર્યાનો મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આક્ષેપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક અધિકારીના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે અંશુ પ્રકાશને અપ્રકાશિત જાહેરાતો મુદ્દે ચર્ચા કરવા માટે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતાં. જો કે આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર મુખ્ય સચિવને જાહેરાત મુદ્દે નહીં પણ રાશન માટે બોલાવવામાં આવ્યા હતાં.
આપને જણાવી દઇએ કે નામ જાહેર ન કરવાની શરતે એક વરિષ્ઠ આઇએએસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે યોજાયેલ આ બેઠક દરમિયાન ઉગ્ર ચર્ચા થઇ હતી. ઉગ્ર ચર્ચા દરમિયાન આપના બે ત્રણ ધારાસભ્યોએ મુખ્ય સચિવને ધક્કે ચઢાવ્યા હતાં. જેમાં મુખ્ય સચિવના ચશ્મા પણ તૂટી ગયા હતાં. અંશુ પ્રકાશે આપેલી માહિતી મુજબ આ ઘટના પછી તેઓ ઉપ રાજ્યપાલ અનિલ બૈજલને મળ્યા હતાં. બીજી તરફ આઇએએસ અધિકારીઓનું એસોસિએશન પણ આ ઘટના અંગે આજે ઉપ રાજ્યપાલને મળ્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો.