અરવલ્લીઃ શામળાજીના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. નાપડાનાં ચંદોલા તળાવમાં પાણી સૂકાતા ખેડૂતોએ મેશ્વો ડેમમાંથી કેનાલ દ્વારા પાણી અપાય તેવી માંગ કરી છે. ખેડૂતોએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.
નાપડા જાગીર ખેરાડી ઈશ્વરપુરા કંપા ખીલોડા અસાલ સુરપુર દાંતિયા મેરાવાડા ખારી કંપા ખીલોડા કંપા ધંબોલીયા સહિતનાં 14 ગામોમાં ઉનાળામાં પાણીની મોટી સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે નાપડાના ચંદોલા તળાવમાં પાણી ન હોવાથી ખેડૂતોએ મેશ્વો નદીને કેનાલ સાથે જોડી પાણી નાખવામાં આવે તેવી માંગ કરી છે. તળાવમાં પાણી ન હોવાથી પાક સૂકાઇ ગયા છે.
ખેતી બચાવવા પાણીની જરૂરિયાત...
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના અને શામળાજી નજીક આવેલા નાપડા આસપાસમાં નાપડા ખાલસા નાપડા જાગીર ખેરાડી ઈશ્વરપુરા કંપા ખીલોડા અસાલ સુરપુર દાંતિયા મેરાવાડા ખારી ખારી કંપા ખીલોડા કંપા ધંબોલીયા સહિતનાં ૧૪ ગામો આવેલા છે. આ ગામોમાં પાણીનાં સ્તર નીચે હવાને કારણે પાણીની મોટી સમસ્યા છે. ૧૪ ગામના ૫ હજારથી વધુ ખેડૂતોને પાણીનાં સ્તર નીચે હોવાને કારણે વર્ષોથી આકાશી ખેતી ઉપર નભવું પડે છે.
ત્યારે નાપડા ખાતે આવેલા તાલુકાનું સૌથી મોટું ચંદોલા તળાવથી માત્ર ૩ કિલોમીટરના અંતરેથી પસાર થતી મેશ્વો નદીની કેનાલ સાથે જોડી પાણી નાખવામાં આવે તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે. આ ૧૪ ગામોના લોકોને પાણીના અભાવે ઉનાળાના સમય સિવાય પણ પાણી માટે વલખા મારવા પડે છે. જેથી તેઓએ આ અંગે જીલ્લા કલેકટરને પણ લેખિત અરજી કરી જાણ કરી છે.
સ્થાનિક ગરીબ ખેડૂતોની હાલત પાણીના અભાવે દયનીય થઇ જાય છે. મેશ્વો ડેમમાં પુરતું પાણી હોવા છતાં ખેડૂતો તેનો ઉપયોગ કરી શકતા નથી. જેના કારણે તેમની માંગ રહેલી છે કે મેશ્વો ડેમ અને નદી ધ્વારા કેનાલ મારફતે ચંદોલા તળાવમાં પાણી ઠાલવવામાં આવે તો ખેડૂતોનો નિર્વાહ ચાલી શકે તેમ છે. ઉપર આભ નીચે ધરતી જેવી પરિસ્થિતિ વચ્ચે ભૂમિપુત્રો કાળી મજુરી કરી પાક તૈયાર કરે છે.
પણ પાણીના અભાવે આ પાક સુકાય જાય તો નવાઈ નહિ. ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય આયોજન કરી આ કેનાલનું કામ મંજુર કરી આ તળાવ ભરવામાં આવે તો આસપાસના ૧૪ ગામોના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે તેમ છે. ત્યારે ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખે આ મામલે રજૂઆત મળી હોવાનું કહીને સરકારમાં આ અંગે માંગણી કરાશે તેવી બાહેધરી આપી હતી.
સરકાર ધ્વારા પાણીના અભાવે ઉનાળુ ખેતી નહીં કરવાની જાહેરાત માત્રથી ખેડૂતોમાં ચિંતાના વાદળ છે. ત્યારે અરવલ્લી જીલ્લાના છેવાડાના વિસ્તારના આ ગામડાઓના ૫ હજાર ખેડૂતો પાણીના અભાવે ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને ખેતી કરવા પાણી તો જોઈએ છે. પણ અત્યારે ખેતી બચાવવા પાણીની તાતી જરૂર છે. ત્યારે સરકારની આખો સમયસર ખુલે તો ગરીબ ખેડૂતના ઘરમાં અજવાળું થાય તેમ છે.