અમદાવાદઃ ભારત પ્રવાસે આવેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ બુધવારે પોતાની પત્ની સારા સાથે અમદાવાદના આંગણે આવી પહોંચશે. ઇઝરાયેલી પીએમ અને મોદી બન્ને મહાનુભાવ 10 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી લઇ ગાંધી આશ્રમ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બન્ને પીએમ ખુલ્લી જીપમાં રોડ શો કરશે. ત્યારે અનેક રૂટ બંધ કરી દેવામાં આવશે.
આવતીકાલે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી તમામ સ્થળો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. રોડ શો રૂટ પરના દરેક સ્ટેજની આસપાસ અને રોડ પર પોલીસ ખડકી દેવામાં આવશે. કાલે સવારના 7 વાગ્યાથી સુભાષબ્રિજથી શાહીબાગ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવશે. સાથે એરપોર્ટ તરફ જવાનો પણ બંધ કરી દેવામાં આવશે.
તેમજ સુભાષબ્રિજથી વાડજ તરફનો રસ્તો બંધ કરી દેવાશે એટલે આવનજાવનનો રસ્તો બંધ રહશે. જેનો વૈકલ્પિક માર્ગ તરીકે રાવલ સર્કલથી પલક ટી ત્રણ રસ્તા થઇ વાડજ તરફ જઇ શકાશે. જ્યારે શહેરમાં જવા માટે વાડજ થઈ દધીચિ બ્રિજ પરથી શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસથી જવાશે.