ભારતની સૌથી જૂની પાર્ટી આજે તેના કારકીર્દીના સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. દેશની સત્તા 60 વર્ષ સુધી જેના પાસે રહી એવી પાર્ટી આજે વિપક્ષમાં પણ બેસી શકતી નથી. દેશના 29 રાજ્યમાંથી જેના પાસે સૌથી વધુ રાજ્ય હતા એ પાર્ટી પાસે હાલ 3થી 4 રાજ્ય બચ્યા છે. તો લોકસભામાં માત્ર 44 સાંસદ કોંગ્રેસ પાસે છે. ત્યારે સતત ઘટી રહેલા કોંગ્રેસના વ્યાપને વધારવા માટે રાહુલ ગાંધીએ તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ ટૂંક સમયમાં મોટા બદલાવ કરવા જઈ રહી છે.
કોંગ્રેસ પોતાને સક્ષમ બનાવવા માટે અને જનાધાર વધારવા માટે મોટા બદલાવ તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 2 મહિના પહેલાથી જ ખાસ વોટ બેંક સાધવા માટે અલગ-અલગ યુનિટ બનાવવાનું શરૂ કરી દીધું છે. રાહુલના આ નવા સંગઠનોમાં અસંગઠિત કામદારો માછીમારો આદિવાસીઓ OBC જાતિઓ વર્કિગ પ્રફેશનલ્સ તથા NRI સાથે જોડાયેલા સંગઠનોનો સમાવેશ થાય છે. આવા સંગઠનોને સંગઠિત કરવાનો કોંગ્રેસનો પહેલો પ્રયાસ છે. પ્રવાસી મજૂરો અને ગરીબ લોકો કોંગ્રેસની વોટબેંક હતી પરંતુ અત્યારે તેઓ અલગ-અલગ રાજ્યમાં વહેંચાયેલા હોવાને કારણે જે તે રાજ્યની પાર્ટીઓએ પોતાની વોટબેંક બનાવી લીધી છે.
કોંગ્રેસ પોતાને સક્ષમ બનાવવા કરી રહી છે તૈયારીઓ
પોતાનો જનાધાર વધારવા બદલાવ તરફ આગળ વધી રહી છે
રાહુલ ગાંધીએ 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી છે
કોંગ્રેસ કામદારો માછીમારો આદિવાસીઓને જોડી રહી છે
કોંગ્રેસે ભારતીય માછીમારોને જોડવાનું શરૂ કર્યું છે. કિનારાના રાજ્યોમાં વસેલા માછીમારો અને તેમના સંગઠન સંસ્થાઓને એકસાથે જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમને સોશ્યલ મીડિયાથી જોડવા માટે અલગ-અલગ પ્રકારના હથકંડા અપનાવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસની પારંપરીક વોટબેંક કહેવાતા આદિવાસી હાલ કોંગ્રેસથી વિમુખ કે વિખુટા પડી રહ્યા છે. વર્ષ 2016માં છત્તીસગઢના તે વખતના મુખ્યમંત્રી અજીત જોગીએ કોંગ્રેસમાંથી વિદાય લીધી ત્યાર પછી કોંગ્રેસની આદિવાસી યુનિટ વિખરાઈ ગઈ છે. હાલ આ યુનિટમાં જીવ લાવવાનું કામ આદિવાસી મામલાના જાણકાર અને પૂર્વ મંત્રી વી કિશોર ચંદ દેવને સોંપવામાં આવ્યું છે. તો દેશના તમામ શહેરોમાં પાર્ટીના અલગ-અલગ ચેમ્પટરના વર્કિંગ પ્રોફેશનલ્સથી લોકોને જોડવાનું કામ શશી થરૂરને સોંપાયું છે. આ કામ માટે વેસ્ટ ઝોનમાં મિલિંદ દેવડા સાઉથ ઝોનમાં ગીતા રેડ્ડી ઈસ્ટ ઝોનમાં ગૌરવ ગોગોઈ અને નોર્થ ઝોનમાં સલમાન અનીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
માછીમારોની સંસ્થા જૂથને એકસાથે લાવવાનું અભિયાન
આદિવાસીઓને પણ કોંગ્રેસ સાથે પાછા લાવવા પ્રયાસ
આદિવાસીઓને જોડવા હાલ પૂર્વ મંત્રી કરી રહ્યા છે કામ
પૂર્વ મંત્રી કિશોર ચંદ દેવ કરી રહ્યા છે પ્રયાસ
ઝોન પ્રમાણે અલગ-અલગ નેતાને સોંપાઈ જવાબદારી
કોંગ્રેસ હાલ તો પાર્ટીમાં નવો જીવ આવે તે માટે સતત પ્રયાસો કરી રહી છે. પણ આ પ્રયાસો જમીની સ્તર પર ક્યારે ઉતરેશે તેતો સમય જ બતાવશે. કારણ કે લોકસભાની ચૂંટણી આવતા પહેલા દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યો કોંગ્રેસ કેવુ પ્રદર્શન કરે છે. તેના પર સૌની નજર છે. તો 2019માં આવી રહેલી લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ હશે. ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસની તૈયારીઓ અને બદલાવ કેટલા કારગર સાબિત થાય છે.