સરકાર દ્વારા બાળકોનો શિક્ષણને લઈને કરોડો રૂપીયોનો ખર્ચ કરવામાં આવે છે. સરકાર વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારતી હોય છે પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી પ્રાથમિક શાળાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તંત્ર દ્વારા મસ મોટુ બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ શાળામાં રૂપિયાના વપરાશના નામે જોવા મળ્યુ છે મિંડુ.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલા કોટ વિસ્તારમાં આવેલી શાળામાં લગભગ 600 જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આજથી દોઢ વર્ષ અગાઉ આ શાળા જર્જરિત હોવાના કારણે નોન યુઝ જાહેર કરીને શાળાનું બિલ્ડીગ ધરાશાઈ કરી દેવામાં આવ્યું હતું પરંતુ દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ જગ્યાએ નવી શાળા બનવાની કામગીરી હજુ શરુ કરવામાં આવી નથી. હાલતો આ શાળાની જગ્યા એ લોકો પાર્કીંગ પ્લોટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને વિધાર્થીઓની હાલત કફોડી બની છે બાળકોને ભાડાના ઓરડામાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જીલ્લાના શિક્ષણ તંત્રને શાળાના આચાર્યો શિક્ષકો અને વાલીઓ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અરવલ્લી જીલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયા નથી. ત્યારે ગરીબ વર્ગના બાળકો પોતે શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટે આ ઓછા ઓરડા વાળી ભાડાની શાળામાં જીવનું જોખમ ઉઠાવીને 1 થી 8 ધોરણના 600 બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને જો હવે શાળાના મકાનનું કામકાજ હાથ નહી ધરાય તો વાલીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વારંવાર તંત્રને રજુઆત કરવામાં આવી છે તેમ છા કોઈ કાર્યવાહી ન કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે સરકારની યોજના અંતર્ગત કોઈ પણ બાળક કુપોષીત ન રહી જાય તેમાટે ભોજન અપાય છે પરંતુ લાચાર બાલકો પાસે ભોજન કરવા માટે જગ્યાની સુવિધા નથી. આ ઘટનાથી તંત્રની કામગીરી પર અનેક સલાલો થઈ રહ્યા છે. શા માટે આટલી મોટી બેદરકારી. શા માટે વિધ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થઈ રહ્યા છે.આખરે ક્યારે આ બાળકો માટે સરકાર દ્વારા કોઈ સહાય અપાય છે તે જોવુ રહ્યું.