અમદાવાદઃ છેલ્લા 2 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાને લઈ ગુજરાતમાં ખુબ જ ઘર્ષણ જોવા મળ્યું. તોગડિયા પહેલા તો ગુમ થયા અને બાદમાં બેભાન હાલતમાં મળી આવ્યા. ત્યારબાદ તોગડિયાએ પત્રકાર પરિષદ કરીને પોતાની સામે ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો સાથે પોતનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાનું પણ કહ્યું હતું. આક્રમક અંદાજમાં ભાષણો કરતા તોગડિયા જ્યારે મીડિયા સમક્ષ આવ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા. હિન્દુત્વનો ખુંખાર ચહેરો જાણે નરમ થઈ ગયો હતો.
પ્રવિણ તોગડિયા એટલે બિન હિન્દુઓ પર ખુલ્લા પ્રહારો કરતો ચહેરો. તોગડિયા એટલે 10 વર્ષની ઉંમરે જ RSSમાં જોડાઈ ગયા અને હિન્દુ ધર્મની જ્યોત જગાવવા માટે પરિવારનો ત્યાર કરી દીધો. એક સમયે મોદીના ઘનિષ્ઠ મિત્ર તોગડિયા આજે મોદી સામે જ આક્ષેપો લગાવી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતો પર અમારો વિશેષ અહેવાલ રજૂ કર્યો છે.
રહસ્યમય રીતે ગાયબ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા આજે મીડિયા સમક્ષ આવ્યા. આંખોમાં આંસુ સાથે તોગડિયાએ જણાવ્યું કે તેમના એન્કાઉન્ટરનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તોગડિયાએ કહ્યું કે હું રિક્ષા દ્વારા એરપોર્ટ જવા નીકળ્યો હતો. બાદમાં તબીયત લથડી ત્યારબાદ શું થયું એ નથી ખ્યાલ. સાથે જ તોગડિયાએ કાર્યકર્તાઓને શાંતિ જાળવવા પણ કહ્યું હતું. પ્રવિણ તોગડિયાના ગુમ થવાના અને ત્યારબાદ મીડિયા સમક્ષ આવવાના સમગ્ર ઘટનાક્રમ આપને જણાવીએ.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા એક સમયે નરેન્દ્ર મોદીની ખાસ નજીકના વ્યક્તિ હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ન હતા ત્યારે મોદી અને તોગડિયા બન્ને એક સાથે એક સ્કૂટર પર પ્રવાસ કરતા હતા. બન્ને વચ્ચે ઘનિષ્ટ મિત્રતા હતી પરંતુ જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ બન્ને વચ્ચે કડવાશ શરૂ થઈ. જે આજ સુધી છે.
વિવાદોમાં રહ્યા ત્રિસુલ દીક્ષા કાર્યક્રમ
પ્રવિણ તોગડિયા પોતાના ત્રિશુલ દિક્ષા કાર્યક્રમને લઈ હંમેશા વિવાદોમાં રહ્યા છે. વર્ષ 1998માં રાજસ્થાનમાં એક ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તોગડિયાએ 4 વર્ષમાં રાજસ્થાનના 5 હજાર અને ગુજરાતના પણ 5 હજાર યુવાનોને ત્રિશુલ આપ્યા હતા. આ પ્રકારને ત્રિશુલ વહેંચણી વિવાદોનું કારણ બની હતી. પરંતુ તે વખતે વિશ્વ હિન્દુ પરિષદે આનો બચાવ કરતા કહ્યું હતું કે આ એક ધાર્મિક પ્રક્રિયા છે અને હિન્દુઓને જગાડવાનું આ કામ છે.
પરંતુ આ કાર્યક્રમને સાંપ્રદાયિક માહોલ બગાડનારો માનવામાં આવ્યો અને જેના કારણે તંત્ર હંમેશા તોગડિયાને શકની નજરે જોવા માંડ્યું. રાજસ્થાનમાં તે વખતે અશોક ગહેલોતની સરકાર હતી ત્યારે તોગડિયામાં સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ જ્યારે રાજ્યમાં વસુંધરા રાજેની સરકાર આવી ત્યારે તમામ કેસ પાછા લઈ લેવામાં આવ્યા હતા.
મોદી સાથેના સંબંધોમાં આવી ખટાશ
1980ના દશકમાં નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયા એકબીજાની ખુબ નજીક હતા. બન્ને સારા મિત્રો હતા. એક જ સ્કૂટર પર સવારી કરતા હતા. બન્ને સાથે મળી RSSના કાર્યકર્તાઓને મળવા માટે જતા હતા. પરંતુ વર્ષ 2001માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. બસ ત્યારથી આ જ દિન સુધી બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કહી દીધુ હતું કે સરકારના કામકાજમાં તોગડિયા દખલબાજી ન કરે. ખાસ કરીને ગૃહ વિભાગોના મામલામાં દખલબાજી ના કરે. બસ આજ કારણના કારણે બન્નેના સંબોધોમાં તિરાડ પડી ગઈ હતી. જે આ જ સુધી પુરાઈ નથી.
નરેન્દ્ર મોદીએ તોગડિયાને નજર અંદાજ કરતા થયા નારાજ
તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવીણ તોગડિયાને નજર અંદાજ કરી દેતા તોગડિયા ખુબ જ નારાજ ચાલી રહ્યા હતા. ફરી વિવાદ થતા આગમાં ઘી હોમવાનું કામ થયું. મોહમ્મદ અલી જીણા પર લાલકૃષ્ણ અડવાણીના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પર ગુજરાતની પોલીસે ડંડાવાળી કરી અને ધરપકડ કરી હતી.
જેના કારણે તોગડિયા ખુબ જ નારાજ થયા હતા. સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દબાણ થયેલા કેટલાક મંદિરોને તંત્રએ તોડી નાંખતા VHPએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તોગડિયાએ મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તોગડિયાએ પોતાના પુસ્તક ફેસેસ એન્ડ માસ્કમાં જણાવ્યું હતું કે ભાજપે સત્તામાં આવીને હિન્દુઓને ઠગવાનું કામ કર્યું છે. હિન્દુઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરવામાં આવી છે. તો રામ મંદિરના મુદ્દે હિન્દુઓને લોલીપોપ આપવામાં આવી. જ્યારે હિન્દુઓએ મત લઈ સત્તા બનાવી લીધી.
હિન્દુત્વનો ચહેરો બની ગયેલા પ્રવિણ તોગડિયાએ પોતાના પરિવારનો ત્યાર કરી દીધો છે. માત્ર હિન્દુ ધર્મની ધૂણી ધગાવવા માટે નીકળી પડયા છે. પ્રવિણ તોગડિયાએ કેવી રીતે હિન્દુ ધર્મના પર્યાઈ બની ગયા?
સામાન્ય ખેડૂત પરિવારમાં થયો જન્મ
હિન્દુ ધર્મના પર્યાઈ બની ગયેલા પ્રવિણ તોગડિયા પોતાના આક્રમક ભાષણોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. બોલવાની આગવી છટા અને આક્રમતા તેમની આગવી ઓળખ છે. તેઓ હિન્દુ ધર્મને લઈ હંમેશા અન્ય ધર્મો પર પ્રહાર કરે છે અને બિન હિન્દુઓને હંમેશા ચેલેન્જ આપે છે. પ્રવિણ તોગડિયાની વાત કરીએ તો તોગડિયા મૂળ ગુજરાતના વતની છે અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તોગડિયા એક સામન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. હાલ સમગ્ર દેશમાં હિન્દુત્વનો એક ચહેરો બની ગયા છે. તોગડિયા પોતાના ભાષણો થકી એવા પ્રહારો કરે છે કે સામેવાળાને હચમચાવી નાંખે છે.
ધર્મ માટે છોડયો પરિવાર
પ્રવિણ તોગડિયાને હિન્દુ ધર્મ પ્રત્યે ક્યારથી વધુ લગાવ થયો તેની વાત કરીએ તો તોગડિયા જ્યારે નાના હતા ત્યારે બાળપણમાં સોમનાથ મંદિરનો પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથ મંદિરના ધ્વસ્ત અવશેષ મળી આવ્યા. જે સોમનાથના પુનરુદ્ધાર પહેલાના હતા. બસ આ જ અવશેસો જોઈને તેમનું હ્રદય ભરાઈ આવ્યું અને લાગી આવ્યું કે મારા હિન્દુ ધર્મ પ્રત્યે આટલા અત્યાચાર કેમ થાય છે? બસ ત્યારથી આજ સુધી તેઓ સતત હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. સાથે તેમણે ધર્મ માટે થઈને પોતના ઘર-સંસારનો પણ ત્યાગ કર્યો છે. હા તેમના પરિવારમાં તોગડિયાના પત્ની અને પુત્ર પણ છે. પરંતુ તેઓએ ઘરનો ત્યાગ કરી દીધો છે. માત્ર ધર્મનો પ્રચાર જ કરી રહ્યા છે.
ધર્મ સાથે કર્મ પણ કરે છે તોગડિયા
પ્રવિણ તોગડિયા ન માત્ર ખેડૂત છે. તેઓ વ્યવસાયે તબીબ પણ છે. પરંતુ તબીબી શિક્ષણનો તેમણે વ્યવસાયિક ઉપયોગ કર્યો નથી. તેઓ માત્ર ધર્મ માટે લડી રહ્યા છે. પોતાની તબીબી શિક્ષણનો ઉપયોગ તેઓ કાર્યકરોનું ચેકઅપ પણ કરે છે. તોગડિયા પ્રખ્યાત કેંસર સર્જન છે. પોતાના અનેક વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ મહિનામાં એક વાર નિયમિત દર્દીઓને ચેકઅપ કરે છે અને જરૂરીયાત મુજબની દવા પણ આપે છે. એટલે કે ધર્મના સાથે પોતાનું જે કર્મ છે તેનું પણ મજબૂતાઈથી તોગડિયા પાલન કરી રહ્યા છે.
ગુજરાતમાં ગોધરાકાંડ અને ત્યારબાદ થયેલા તોફાનોને ગુજરાત ક્યારેય ભૂલી શક્યું નથી. ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં અનેક નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ. ત્યારબાદ સમગ્ર ગુજરાત તોફાનોની આગમાં હોમાઈ ગયું હતું. તે વખતે પ્રવિણ તોગડિયાએ સમગ્ર રાજ્યમાં આક્રમક ભાષણો કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ગોધરાની એ ઘટના - કાર સેવકોને લઈ પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસ
આ ટ્રેનમાં મુસાફરોના ભજન-સતસંગનો નાદ ગુજી રહ્યો હતો. લોકો જયશ્રી રામનો નાદ કરી રહ્યા હતા. પરંતુ કોને ખબર કે આ નાદ થોડીવારમાં સન્નાટામાં ફેરવાઈ જવાનો છે. થોડીવારમાં જ જયશ્રી રામની જગ્યાએ લોકોની ચીચીયારીઓ સંભળાવાની છે. બસ આવુ જ થયું. ગોધરા રેલવે સ્ટેશનથી ટ્રેન થોડીક આગળ નીકળી હશે.
ત્યાં જ કેટલાક અસામાજિક તત્વોએ ધર્મની આડ લઈને ટ્રેનની અમુક બોગેઓમાં આગ લગાવી દીધી. આગ એવી તો લાગી કે ટૂંક સમયમાં જ ભજન-સંતસંગ શાંત થઈ ગયો. બધે જ સન્નાટો થઈ ગયો. માત્ર રો-કકળનો અવાજ હતો. આ ઘટનામાં અનેક જિંદગીઓ જીવતી સળગી ગઈ હતી. બસ આ જ ઘટનાને લઈ પ્રવિણ તોગડિયાએ પોતાની આગવી શૈલીમાં તેનો પ્રતિકાર કર્યો હતો.
રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા
ગોધરામાં ટ્રેન સળગાવ્યાની ઘટના પછી તેના પ્રત્યાઘાત રૂપે ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. અનેક નિર્દોષ લોકોના આ ઘટનામાં મોત થયા હતા. પ્રવિણ તોગડિયાએ ગોધરા ટ્રેનની ઘટના પછી રાજ્યમાં અનેક સભાઓ કરી હતી. બિન હિન્દુ લોકો પર આકરા પ્રહારો કર્યા હતા.
ગોધરા કાંડ અને ત્યાર પછી થયેલા રાજ્યમાં તોફાનો
આ ઘટનાને લઈ પ્રવિણ તોગડિયાએ જે આક્રમક ભાષણો કર્યા હતા. આ ભાષણોને કારણે તોગડિયા સામે અનેક કેસ પણ થયા હતા. જે આજ સુધી ચાલુ પણ છે. તોગડિયા પોતાના ભાષણમાં સ્પષ્ટ રીતે બિન હિન્દુ સમુદાય પર પ્રહાર કરતા હતા. ખુલ્લી ચેલેન્જ આપતા હતા. હજુ પણ આ હિન્દુ ધર્મ માટે ખુલ્લા પડકારો આપતા અચકાતા નથી.
પ્રવિણ તોગડિયાના નામથી કોઈ વ્યક્તિ અજાણ હોય તેવુ બને નહીં. ગુજરાત લઈને સમગ્ર દેશમાં તોગડિયાએ પોતાની આગવી છાપ છોડી છે. આક્રમક અંદાજમાં ભાષણો કરવા બિન હિન્દુ લોકોને ખુલ્લી ચેલેન્જ આપવી કે પછી હિન્દુ ધર્મ માટે કંઈ પણ કરી છૂટવાની ટેક આ તમામ બાબતો પ્રવિણ તોગડિયાને બીજાથી અલગ તારવે છે. તોગડિયા એક સમયે ગુજરાતમાં મોટી તાકાત માનવામાં આવતા હતા.
કેવું હતું તોગડિયાનું જીવન?
હિન્દુત્વના દેશમાં સૌથી મોટો ચહેરો એવા પ્રવિણ તોગડિયાનો જન્મ 12 ડિસેમ્બર 1956ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા નાનકડા સાજન ટિંબા ગામમાં થયો હતો. સૌરાષ્ટ્રના સામાન્ય ખેડૂત અને લેઉવા પાટીદાર સમુદાયમાં જન્મ થયો. પરંતુ જન્મ બાદ તોગડિયા જ્યારે 10 વર્ષના થયા ત્યારે તેમનો સમગ્ર પરિવાર ગામ છોડી અમદાવાદમાં આવી ગયો હતો. બાળપણથી જ હિન્દુ ધર્મ માટે કંઈ કરી છૂટવાની ભાવના. બસ આ જ ભાવનાને આગળ વધારવા માટે માત્ર 10 વર્ષની ઉંમરથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં જવા લાગ્યા અને ધીરે ધીરે સંઘના કાર્યકર બની ગયા.
10 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા અને 16 વર્ષની ઉંમરે પૂર્ણકાલિન સ્વયંસેવક બની ગયા
સંઘનો એવો તો લગાવ થઈ ગયો કે 1971માં માત્ર 16 વર્ષની ઉંમરે RSSના પૂર્ણકાલિન સ્વયંસેવક બની ગયા. તે વખતે સંઘના પ્રચારક રામેશ્વર પાલીવાલ રેના માર્ગદર્શનમાં પોતાનું જીવન સ્વયંસેવકના રૂપમાં શરૂ કર્યું. સંઘની સાથે હિન્દુ ધર્મનો પણ પ્રચાર કરતા ગયા. સાથે સાથે પોતના શિક્ષણનો પણ ખ્યાલ સતત રાખતા ગયા. તોગડિયાએ તબીબી શિક્ષણનો અભ્યાસ પૂર્ણ કરેલો છે.
તોગડિયા MBBSની ડિગ્રી ધરાવે છે. તોગડિયાએ અમદાવાદમાં ધનવંતરી હોસ્પિટલની સ્થાપના કરી છે. આ હોસ્પિટલમાં દર મહિને એક દિવસ પોતાની તબીબી સેવા અચુક આપે છે. વર્ષ 1983માં માત્ર 27 વર્ષની ઉંમરે વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઈ ગયા. બાબરી ધ્વંશની ઘટના હોય કે પછી રામ મંદિર આંદોલન આ તમામ ઘટનાઓમાં પોતાના મહત્વના યોગદાનને જોઈને VHPએ તેમને મહાસચિવ બનાવ્યા. ત્યારબાદ સતત VHP માટે કાર્ય કરતા રહ્યા.
અશોક સિંઘલ બાદ VHPના અધ્યક્ષ બન્યા
વિશ્વ હિન્દુ પરિષદની પતાકાઓ સમગ્ર ભારતમાં લહેરાતી હતી. તે વખતે અશોક સિંઘલ VHPના વડા હતા. પરંતુ તેમનું અવસાન થતાં આ પદ સંભાળવાની જવાબદારી પ્રવિણ તોગડિયાના માથે આવી હતી. આ જે કાર્યકારી અધ્યક્ષ તરીકે તોગડિયા આ જવાબદારી સંભાળી રહ્યા છે. જો વાત VHPની કરવામાં આવે તો VHPના ભારત અને વિદેશમાં મળી કુલ 20 લાખથી વધારે સભ્યો છે.
બીજી તરફ પ્રવીણ તોગડિયા પોતાના ત્રિશઉલ દીક્ષા કાર્યક્રમને લઈ પણ સતત વિવાદોમાં રહ્યા છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં આ કાર્યક્રમને લઈ ઘણો વિવાદ થયો હતો. તોગડિયાનો એક સમયે ગુજરાતમાં ડંકો વાગતો હતો. પરંતુ જ્યારે મોદી મુખ્યમંત્રી બન્યા અને બન્ને વચ્ચે વિવાદ થતાં તોગડિયાનો રુઆબ ઓછો થઈ ગયો હતો. હાલ પણ મોદી અને તોગડિયાના સંબંધોમાં તિરાડ છે.