મોદી સરકાર કાળા નાણાં પર સતત રોક લગાવવા માટે કોઇને કોઇ રસ્તો શોધી રહી છે એવામાં આગામી સમયમાં કાળા નાણાંનો વહીવટ કરનાર લોકો માટે કોઇ જગ્યા સુરક્ષિત નહી રહે. કાળુ નાણુ છૂપાવવાની જગ્યા બની ચૂકેલુ શેર બજાર હવે સરકારની સતત નજર હેઠળ છે. ગયા વર્ષે સરકાર રત્ન તથા આભૂષણોના વેપારમાં પણ પારદર્શકતા લાવવાની કવાયત કરી રહી છે.
હવે સરકાર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર નજર રાખવા માટે નવા નિયમોની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર જો સોનીને ત્યાંથી 6 લાખ કરતા વધુના આભૂષણ વેચાય તો તેણે ફાયનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટને તેની જાણકારી આપવી પડશે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. નવો નિયમ એશ-આરામની બીજી ચીજો વેચતા વેપારીઓને પણ લાગુ પડશે.
ઓગસ્ટ 2017માં સરકાર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત જ્વેલરી ડીલરો પર નજર રાખી રહી છે. 2 કરોડથી વધુ ટર્ન ઓવર વાળા જ્વેલર્સને રિપોર્ટિંગ એન્ટીટીઝમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્વેલર્સ 50 000થી વધુના કેશ ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ સરકારને આપવા માંડ્યા હતા. આની સીધી અસર સીઝનની જ્વેલરીની ખરીદી પર પડી હતી અને લોકો ઘરેણા ખરીદવાથી દૂર ભાગતા થઈ ગયા હતા.
ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સરકારે પોતાના ઓગસ્ટના આદેશને પાછો ખેંચ્યો હતો અને રત્ન આભૂષણના વેપારીઓને મની લોન્ડરિંગ એક્ટમાંથી બાકાર કર્યા હતા. એ સમયે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે કાળા નાણાં પર રોક લગાવવા માટે રત્નોની કિંમત માટે કેશ આપવાની લિમિટ નક્કી કરવામાં આવશે.
નોટબંધી પછી સરકારે રોકડની લેવડદેવડ પર નજર રાખવા 2 લાખથી વધુની રોકડના વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો છે તથા 50 000થી વધુની રોકડની આપ લે માટે પાનકાર્ડ ફરજિયાત બનાવ્યું છે. નોટબંધીને કારણે 1.7 લાખ કરોડના શંકાસ્પદ બેન્ક ટ્રાન્ઝેક્શન આવકવેરા ખાતાના અધિકારીઓની નજરમાં આવી ગયા છે.
કરચોરો સામે પગલા લેવા માટે અત્યારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ 8 નવેમ્બર 2016ના નોટબંધી પછી તમામ બેંકોમાં જમા થયેલી રકમની લેણદેણની તપાસની મદદથી નોટબંધીના બીજા ભાગ પર કામ કરી રહી છે જેની મદદથી કાણાં નાણા અંગેની જાણકારી મળી જશે. આ માટે ડિપાર્ટમેન્ટ હાલમાં ડેટા એનાલિટિક્સના માધ્યમથી કરચોરોની યાદી બનાવી રહી છે અને શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને એકબીજા સાથે જોડીને પારખવાની કોશિશ કરી રહી છે.