દિલ્હી:સુપ્રીમકોર્ટના 4 જજોએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે બગાવતના સૂર અપનાવ્યા બાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.આજે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આ મામલે વાતચીત કરવા અને ઉકેલ લાવવા માટે નારાજ જજો સાથે બેઠક બોલાવી શકે છે.
એક નિવેદનમાં દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં દરેક જજ સમાન છે અને સ્વતંત્ર પણ છે.દીપક મિશ્રા સામેના 4 જજો બંડ ભર્યા તેવર અને સમગ્ર ઘટનાક્રમ બાદ પક્ષાપક્ષીનું રાજકારણ ગરમાયુ છે.
વિપક્ષ કોંગ્રેસે આ મામલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 4 જજોએ ઉઠાવેલા સવાલો ખૂબજ ગંભીર છે સાથે જ જસ્ટિસ લોયાની મોત અંગે સાચી દિશામાં તપાસ થવી જોઈએ તો સામે પક્ષે ભાજપે જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં બધું બરાબર ચાલી રહ્યું છે.ન્યાય તંત્રમાં રાજનીતિ વચ્ચે ન આવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે દેશમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના હાલના જજોએ મીડિયાને સંબોધિત કરી.પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરએ કહ્યું કે ક્યારેક-ક્યારેક લાગે છે કે દેશની સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા પણ બદલાય છે.
સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી જો આવું ચાલતું રહ્યું તો લોકતાંત્રિક પરિસ્થિતિ ઠીક રહેશે નહીં. એમને કહ્યું કે અમે આ મુદ્દા પર ચીફ જસ્ટિસને વાત કરી પરંતુ એમને અમારી વાત સાંભળી નહીં.