નવી દિલ્હી: બુધવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ મોનેટરી કમિટીએ નાણાકીય નીતિની સમીક્ષા કરતાં રેપો રેટમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. એનાથી લોકોને દિવાળી પર સસ્તી EMI ની ભેટ મળશે નહીં.
RBI ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં બનેલી એમપીસીએ બુધવારે જાહેરાત કરતાં કહ્યું છે કે મોંઘવારીનો દર ઉચ્ચ સ્તર પર છે જેના કારણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં હાલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6 ટકા રાખવામાં આવ્યો છે.
ઓગસ્ટમાં જથ્થાબંધ અને છૂટક મોંઘવારી દરમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં 190 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. જીએસટી લાગૂ થયા બાદ ઓક્ટોબરથી દરેક પ્રકારની ગ્રાહકની વસ્તુઓના ભાવ વધી ગયા છે જેનાથી હજુ મોંઘવારી વધી શકે છે.
હાલમાં RBI તરફથી રેપો રેટ 6 ટકા છે જેમાં સેન્ટ્રલ બેંકે 2 ઓગસ્ટે 25 બેસિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો. આ કમી બેંકે 10 મહિના બાદ કરી હતી. ત્યારે સેન્ટ્રલ બેંકે દેશભરની બેંકોને કહ્યું હતું કે એ પોતાના ઇન્ટ્રેસ્ટ રેટને ઘટાડે જેનો લાભ સામાન્ય જનતાને મળે.
હાલ દેશમાં રેપો રેટ સૌથી ન્યૂનતમ સ્તર પર છે. આરબીઆઇ વેટ એન્ડ વોચની પોલિસી પર અડગ રહેશે અને જીડીપી ગ્રોથ માટે સરકાર તરફ જ નજર રાખશે અને આગળ જઇને જ્યારે મોંઘવારી ઓછી થશે ત્યારે રેપો રેટ ઘટાડવા પર વિચાર કરવામાં આવશે.