આજે સંસદમાં નાણા મંત્રી અરૂણ જેટલી વર્ષ 2018-19નું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે અરૂણ જેટલીએ પોતાના સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણા મંત્રીએ જણાવ્યુ કે ઉજજ્વલા યોજના હેઠળ સરકારે 5 કરોડ ગરીબ મહિલાઓ સુધી મફત ગેસ કનેક્શન પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો હતો. આ યોજનાની લોકપ્રયિતા ધ્યાનમાં રાખીને આ લક્ષ્યને વધારીને 8 કરોડ ગરીબ મહિલાઓને મફતમાં કનેક્શન પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે.
અરૂણ જેટલીએ આગળ કહ્યુ કે વીજળી જતી રહેતા લોકો પરેશાન થાય છે આ વાતનું ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે આ યોજના હેઠળ 16000 કરોડ રૂપિયાની પડતરથી 4 કરોડ પરિવારને વીજળી પહોંચાડવામાં આવશે. નાણા મંત્રીએ પોતાના બજેટમાં ઘરને લઇને પણ મહત્વની જાહેરાત કરી છે.
અરૂણ જેટલીએ કહ્યુ કે સરકારનો લક્ષ્ય 2022 સુધી તમામ ગરીબોને ઘર આપવાનો છે. તેમણે કહ્યુ કે આ માટે સરકાર શહેરી ક્ષેત્રોમાં 37 લાખ મકાન બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સિવાય નવા નાણાકીય વર્ષમાં સરકાર 2 કરોડ શૌચાલય બનાવશે.