રાજય સરકારે હવે મહત્વના નિર્ણયના ભાગરૂપે ગત 11મી ઓકટોબર 2019માં અમલી બનાવેલી નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે.
HPCL, નિરમા અને ટોરન્ટ સહિતની કંપનીઓને નવી કેપ્ટીવ જેટ્ટી જૂની પોર્ટ પોલિસી હેઠળ જ અપાશે
મિત્તલ ગ્રુપ અને રૂઈયા ગ્રુપ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહના કારણે સરકારે આવો નિર્ણય કર્યો : સૂત્ર
શું છે સરકારનો પ્લાન?
રાજય સરકારે હવે મહત્વના નિર્ણયના ભાગરૂપે ગત 11મી ઓકટોબર 2019માં અમલી બનાવેલી નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે. જેના પગલે HPCL, નિરમા અને ટોરન્ટ સહિતની કંપનીઓને નવી કેપ્ટીવ જેટ્ટીની ફાળવણી જુની પોર્ટ નીતિ મુજબ જ કરવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે રાજય સરકાર વાર્ષિક 30 મીલીયન ટન ક્ષમતા ધરાવતી કેપ્ટીવ જેટ્ટીના પ્રોજેકટસને ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી સંભાવના છે. આર્સેલર અને એસ્સારના રૂઈયા વચ્ચે ચાલી રહેલા વિવાદના પગલે રાજય સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
કેમ સરકારે લેવો પડ્યો આ નિર્ણય?
નવી પોર્ટ નીતિ 2019 મુજબ એસ્સાર ગ્રુપ દ્વારા હજીરા પ્રોજેકટમાં દરખાસ્ત કરાઈ હતી. જેની સામે વાંધો ઉઠાવીને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરીને નવી પોર્ટ નીતિ 2019ને પડકારાવમાં આવી છે. આ બંને વચ્ચેનો વિવાદ બિઝનેસ જગતમાં ખૂબ ચગાવવામાં પણ આવ્યો હતો ત્યારે હવે સરકારે તેને સ્થગિત કરી દેવાનો નિર્ણય લીધો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નવી બંદર નીતિનો હેતુ વધુ દરિયાકાંઠાના કાર્ગોને આકર્ષિત કરવાનો હતો અને ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં અડધો - અડધ ઘટાડો થશે તેવી પણ અપેક્ષા હતી. સૂત્રો અનુસાર ગુજરાતમાં કેપ્ટિવ જેટીમાં વાર્ષિક આશરે 100 મિલિયન ટનની માલ હેરફેરની ક્ષમતા છે, જેનો ઉપયોગ નવી બંદર નીતિ હેઠળ થઈ શકે છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, નવી બંદર નીતિ હેઠળ આઠ હાલની કેપ્ટિવ જેટીઓએ અરજી કરી હતી, જેમાં રાજ્યમાં રૂ .4000 કરોડના રોકાણની અપેક્ષા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ઓકટોબર -2019માં જાહેર કરાયેલા નીતિ વિષયક ફેરફાર બાદ કેપ્ટીવ જેટ્ટી ધરાવતા ગ્રુપ દ્વારા થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ પણ કરી શકશે, જો કે તેના માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે સિંગલ ટાઈમ કરાર કરવાનો રહેશે.