સોળ સોમવારનું વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ ભગવાન શિવ તેના ઉપર સદા પ્રસન્ન રહે છે. શું તમે જાણો છો સોળ સોમવારનું વ્રત કરવા પાછળ પણ એક વાર્તા છે. જે જાણીને તમને પણ નવાઇ લાગશે.
શિવ અને પાર્વતી સોગઠાં રમવા બેઠાં હતાં, પરંતુ કોઇ હારતું નહોતું. એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યુ કે બ્રાહ્મણ તમારે નિર્ણય કરવાનો છે. હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો.
પહેલી વખતે સોગઠાં નાંખ્યાં તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા. બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમ કે તે શિવના કોપથી બચવા માગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયાં અને તેને શ્રાપ આપ્યો કે જા તું રક્તપિત્તિયો બન અને તને કોઢ થશે. દુઃખી બ્રાહ્મણ જતો હતો ત્યાં તેને રસ્તામાં ગાય મળી તેણે તેને પૂછયું કે ક્યાં જાવ છો તમે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉ છું.
ગાયે કહ્યું કે મારું દુ:ખ પણ સાંભળતાં જાવ. મારાં આંચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઇ પીતું નથી તો એવાં કયાં પાપ કર્યાં છે? તે પૂછતાં આવજો.
રસ્તામાં ઘોડો મળ્યો તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુ:ખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીનાં પલાણ છે પરંતુ મારા પર કોઇ સવારી કરતું નથી. મેં એવાં તે કયાં પાપ કર્યાં હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો.
આગળ જતાં તે એક આંબા નીચે આરામ કરવા બેઠાે. તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવાશેરનાં ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પણ પૂછતા આવજો. જ્યારે તે તળાવે પાણી પીવા ગયો ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારાં રુંવે રુંવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી. તો મારાં પાપનું પણ નિવારણ પૂછતા આવજો.
બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કાંઇ પણ ખાધા કે પીધા વગર તે શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપું. બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો. ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુખ દૂર થઈ જશે.
બ્રાહ્મણે વ્રત વિશે પૂછતાં શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની સેરે ચાર ગાંઠો વાળવી, મારાં દર્શન કરવાં અને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરાં પૂરવાં. જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યાર બાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેનાં દુ:ખ વિશે જણાવ્યું અને તેઓનાં દુ:ખનાં નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી. તેણે ધાવતાં બાળકોને તરછોડ્યાં હતાં. તેથી આ જન્મમાં તેનું દૂધ કોઇ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુ:ખ દૂર થશે.
પછી શિવે ઘોડા વિશે જણાવતાં કહ્યું તે ગયા જન્મમાં એક વણિક હતો. તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુ:ખ દૂર થઈ જશે.
પછી શિવે આંબાનું દુ:ખનું નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેણે સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું. તેથી તેની આવી હાલત હતી. તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનનાં ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે. તો તેનાં ફળ અમૃત જેવાં થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઇને વિદ્યાનું દાન કર્યું નહિ.
બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું. તો તે બધાંને તેમાંથી મુક્તિ મળી ગઈ. અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે સોળ સોમવારનું વ્રત કર્યું તો તેનું દુ:ખ પણ દૂર થઈ ગયું. અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ.