જમ્મૂ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલ અને શ્રીનગરના ડિવિઝનલ કમિશ્નર બશીર ખાને શનિવારે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમાં સોમવારથી શાળાઓ ખૂલવાની માહિતિ આપી હતી.
શ્રીનગરમાં સોમવારથી 190 પ્રાઈમરી શાળાઓ શરૂ કરાશે. જેમાં લાસજાન, સાંગરી, પંથચૌક, નૌગામ, રાજબાગ, જવાહરબાગ, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ આ વિસ્તારોમાં પ્રતિબંધમાંથી થોડી છૂટ પણ આપવામાં આવશે,
જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાઈ તે સમયે જ રાજ્યમાં સુરક્ષાને લઈને કેટલીક કલમો લગાવી દેવામાં આવી હતી. હવે સરકાર ધીરે ધીરે તેમાં છૂટછાટ આપી રહી છે. સામાન્ય રીતે જનજીવન શરૂ થઈ શકે તે માટે 5 જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટની 2જી સેવા શનિવારે શરૂ કરવામાં આવી હતી. સાથે જ સોમવારથી શ્રીનગરની 190 પ્રાઈમરી શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. સિનિયર શાળાઓ થોડા સમય બાદ શરૂ કરાશે. જેટલા સમયથી સ્કૂલ બંધ છે તેટલા સમયના પૂરક ક્લાસ આ મહિના પછી લેવામાં આવશે. હાલમાં સ્થાનિક અધિકારીઓ સુરક્ષાની જાણકારી લઈ રહ્યા છે. જો બધુ સામાન્ય રહેશે તો જલદી જ છૂટ આપવામાં આવશે.
બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રખાશે
રોહિત કંસલે જણાવ્યું કે શ્રીનગરના ઉપાયુક્ત શાહિદ ઈકબાલ ચૌધરીએ શનિવારે શિક્ષા વિભાગના અધિકારીઓ અને વિદ્યાલયોની બેઠક બોલાવી હતી. તેમાં જિલ્લામાં વિદ્યાલયોને ખોલવાને લઈને ચર્ચા કરવામાં આવી. તેઓએ કહ્યું કે રૈનવારી અને ઈદગાહના કેટલાક વિદ્યાલયો પણ ખોલવામાં આવશે. બાળકોની પ્રશાસનને ચિંતા છે માટે તેમની સુરક્ષા માટેની તમામ જોગવાઈઓ કરવામાં આવશે.
8 લોકો થયા ઘાયલ
પ્રધાન સચિવે જણાવ્યું કે જે વિસ્તારોમાં છૂટ આપવામાં આવી હતી ત્યાં કોઈ અધટિત બનાવ બન્યો નથી. પરંતું જ્યાં પાબંધી હતી ત્યાં નાની મોટી ઘટનાઓ બની છે અને સાથે જ તેમાં 8 લોકો ઘાયલ પણ થયા છે. હાલમાં સ્થિતિ કાબૂમાં છે અને સ્થિર છે.
23 હજાર લેન્ડલાઈન કનેક્શન થયા શરૂ
12 દિવસથી બંધ 2જી ઈન્ટરનેટ સેવાને શરૂ કરવામાં આવી હતી. કાશ્મીરની ઘાટીમાં શનિવારે મોડી સાંજે 23 હજાર લેન્ડલાઈન કનેક્શન્સ કામ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સેવાઓ 5 ઓગસ્ટથી બંધ હતી.