ભારતના ભાગેડુ છે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી
ભારતના ભાગેડુઓ પાસેથી અત્યાર સુધીમાં કેટલા કરોડ વસુલાયા છે તેનો આંકડો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આંકડો જાહેર કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી 18,000 કરોડ વસૂલી લઈને બેન્કોને અપાયા છે.સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ મની લોન્ડરિંગ એક્ટ કે PMLA કેસોની કુલ સંપત્તિ 67,000 કરોડ છે. PMLA હેઠળ ગુનાની સંપત્તિની જપ્તી, સર્ચ અને તપાસ સંબંધિત ઈડીની સત્તાને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે આવી રજૂઆત કરી હતી.
18,000 કરોડ વસુલાયા ત્રણ ભાગેડુઓ પાસેથી
કેન્દ્ર સરકારના વકીલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમને જાણકારી આપી કે છેલ્લા કેટલાક સમયમાં કેન્દ્ર સરકારે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી 18,000 કરોડ વસૂલી લઈને બેન્કોને આપ્યાં છે અને હજુ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ છે.
કયા ભાગેડુ પર બેન્કોનું કેટલું દેવુ
વિજય માલ્યા પર વિવિધ બેન્કોનું 9,000 કરોડ તો નીરવ મોદી અને મેહુલ ચોકસીનું પંજાબ નેશનલ બેન્કનું 13,000 કરોડનું દેવું બાકી છે.
18,000 કરોડ વસુલાયા બાદ હવે કેટલું દેવું બાકી
ત્રણેય ભાગેડુઓ પાસેથી 18,000 કરોડ વસુલાયા બાદ પણ હજુ 2000 કરોડથી વધારે રકમ વસૂલવાની બાકી રહે છે કારણ કે ત્રણેય આરોપીઓએ એક અંદાજ પ્રમાણે 22,000થી વધારે કરોડનો બેન્ક ફ્રોડ આચર્યો છે અને હવે કેન્દ્રની રજૂઆત પ્રમાણે તેમની પાસેથી 18,000 કરોડ વસૂલી લેવાયા છે અને એટલે 2000 કરોડ કરતા વધારે વસુલવાના બાકી રહે છે તેમ કહી શકાય.
ઈડી દ્વારા પીએમએલએના 4,700 કેસોની તપાસ-કેન્દ્રના વકીલે સુપ્રીમને કહ્યું
મહેતાએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પીએમએલએના 4,700 કેસોની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લાં પાંચ વર્ષમાં દર વર્ષે તપાસ માટે લેવામાં આવતા કેસોની સંખ્યા વધી રહી છે. 2015-16માં 111 કેસ હતા, 2020-21માં તે વધીને 981 થઈ ગયા છે. છેલ્લા પાંચ વર્ષ (2016-17થી 2020-21) દરમિયાન આ પ્રકારના ગુનાઓ માટે 33 લાખ એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ પીએમએલએ હેઠળ માત્ર 2,086 કેસોની તપાસ કરવામાં આવી હતી. યુકેમાં મની લોન્ડરિંગ એક્ટ (7,900), યુએસ (1,532), ચીન (4,691), ઓસ્ટ્રિયા (1,036), હોંગકોંગ (1,823), બેલ્જિયમ (1,862) અને રશિયા (2,764) હેઠળના વાર્ષિક કેસોની તુલનામાં પીએમએલએ હેઠળ તપાસ માટે ઘણા ઓછા કેસ ઉભા કરવામાં આવી રહ્યા છે.
ભારતના ભાગેડુ છે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી ભારતના ભાગેડુ છે. આ ત્રણેય પર બેન્કોનો કરોડો રુપિયાનો ફ્રોડ કરવાનો આરોપ છે. ભારતમાં કાર્યવાહીની બીકે તેઓ વિદેશમાં છુપાયા છે. વિજય માલ્યા લંડનમાં છુપાયો હોવાનું કહેવાય છે.