શ્રીલંકા સામે ત્રીજી ટી-૨૦ મેચની સાથે શ્રેણી જીતી લીધા બાદ વિરાટ કોહલીએ એક મોટું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ મેચ પૂરી થયા બાદ કહ્યું, ''ટીમ ઇન્ડિયાને અંદરોઅંદર લડાવવાની કોશિશ થઈ રહી છે.'' વિરાટની આ વાત એ લોકોને ચૂપ કરાવવા માટે કહેવાઈ, જેઓ સતત કહી રહ્યા છે કે ટી-૨૦ વર્લ્ડકપમાં ઓપનર તરીકે શિખર ધવન અને કે. એલ. રાહુલમાંથી કોઈ એકનો જ ટીમમાં સમાવેશ થશે.
શિખર ધવન અને કેએલ રાહુલ અંગે લોકોનાં નિવેદન પર કેપ્ટનનો જવાબ
રોહિત સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે : વિરાટ કોહલી
વિરાટે જણાવ્યું, ''રોહિત, ધવન અને રાહુલ ત્રણેય જબરદસ્ત ખેલાડી છે. ત્રણેય વચ્ચે સારી બેટિંગ કરવાની સ્પર્ધા છે. રોહિત સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. લોકોએ કોઈને એકબીજા સામે ઊભા ના કરી દેવા જોઈએ. હું આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતો.''
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સતત એવી વાતો ચાલી રહી છે કે ધવન કરતાં કે. એલ. રાહુલનું પલડું ભારે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાહુલનું પ્રદર્શન ધવન કરતાં ઘણું સારું રહ્યું છે. જોકે ધવને આ શ્રેણીમાં ખુદને સાબિત કરી દીધો છે. બીજી ટી-૨૦માં ધવને ૩૨ રન બનાવ્યા હતા, પરંતુ પુણેમાં ગબ્બરનું બેટ કંઈક અલગ અંદાજમાં જ ગર્જ્યું. ધવને ૫૨ રનની ઇનિંગ્સ રમી. આ ધવનની ૧૦મી ટી-૨૦ અર્ધસદી હતી. ૨૧ નવેમ્બર, ૨૦૧૮ બાદ ધવને અર્ધસદી ફટકારી. ધવને છેલ્લે ૭૬ રનની ટી-૨૦ ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન ખાતે રમી હતી. ત્યાર બાદથી ધવનનું બેટ ટી-૨૦ ફોર્મેટમાં શાંત રહ્યું હતું.
શિખર ધવન સામે છેલ્લા ઘણા સમયથી નિવેદનબાજી ચાલી રહી છે. ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંતે તો એટલે સુધી કહી નાખ્યું હતું કે, ''શ્રીલંકા સામે ધવનના રન જરાય મહત્ત્વના નથી. ટી-૨૦ વર્લ્ડકપમાં ધવનના સ્થાને રાહુલને જ પસંદ કરવો જોઈએ.'' જ્યારે ગૌતમ ગંભીરે પણ ધવનના સ્થાને સંજુ સેમસનને ઓપનિંગમાં ઉતારવાની વકીલાત કરી હતી. જોકે હવે ધવને દમદાર વાપસી કરી છે અને કેપ્ટન વિરાટ કોહલી પણ તેના સમર્થનમાં ઊભો રહ્યો છે.