નરોડા-દહેગામ રોડ પર અકસ્માત સર્જાયો છે. એક કાર ચાલકે 5 લોકોને અડફેટે લેતા રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી.
દહેગામ રોડ પર અકસ્માત
5 લોકોને કારચાલકે અડફેટે લીધા
કારમાં પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું
નરોડા-દહેગામ રોડ ઉપર આવેલા હંસપુરા પાટિયા પાસે એક કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. જોકે, આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ જતાં કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય ત્રણ શખ્સો કાર મૂકીને નાસી ગયા હતા. જે બાદ રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
આ અંગેની જાણ પોલીસને થતાં પીઆઈ, એસ.પી સહિતના અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. તો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકોને 108માં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
કારમાં સવાર શખ્સો દારૂ પીધેલી હાલતમાં હોવાનો લોકોનો દાવો
અકસ્માત સમયે બનાવ સ્થળે હાજર લોકોનું કહેવું છે કે, કારમાં સવાર ચારેય શખ્સો દારૂ પીધેલી હાલતમાં હતા. આ ઉપરાંત કારમાં પોલીસ લખેલી પ્લેટ પણ હતી. હાલ પોલીસે આ કાર કોઈ પોલીસ કર્મચારીની છે કે નહીં તે દશામાં તપાસ શરૂ કરી છે.