કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટથી મોટો ખતરો હોવાની આશંકા છે. ત્યારે હવે ભારતની એક વેક્સિન આ ખતરા સામે લડવા તૈયાર હોવાના સમાચાર આવ્યા છે.
દેશમાં કોરોનાની બીજી રસી મળી શકે છે. અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ઇમરજન્સીમાં ઝાયકોવ-ડી રસીનો ઉપયોગ કરવાની મંજૂરી માટે સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ને અરજી કરી દીધી છે.
જો સીડીએસસીઓ રસીને મંજૂરી મળી જશે, તો તે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોરોનાની રસી હશે. કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને આઈસીએમઆર(ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ) એ ઝાયડસ કેડિલા સાથે મળીને રસી વિકસાવવા માટે સહયોગ કર્યો છે.
કઈ રીતે કામ કરે છે આ રસી?
ઝાયકોવ-ડી રસીનો ડોઝ શરીરમાં પ્રવેશતા જ શરીરના કોષોને એક પ્રકારનો કોડ આપે છે, ત્યારબાદ વાયરસના બાહ્ય ભાગ જેવા સ્પાઇક એટલે કે ખાંચાઓ શરીરમાં બનવાનું શરૂ થશે, શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને જોખમ માનશે અને એન્ટિબોડીઝ બનાવનું શરૂ કરી દેશે. આ રીતે એક સમય બાદ શરીર કોરોનાથી બચવા માટે તૈયાર થઈ જશે. .
ઝાયકોવ-ડી એ એક પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે જે વાયરસના જીનેટિક્સનાં આધારે વિકસાવવામાં આવી છે. આમાં વપરાતા જીનેટિક ડીએનએ અણુઓ પોતે ફેલાઈ શકતા નથી, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. વેક્સિન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્લાઝમિડમાં કોડિંગ હોય છે જે શરીરને કોરોના જેવા સ્પાઇક પ્રોટીન બનાવવા માટે નિર્દેશ આપે છે.
ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક વેક્સિન
કોરોનાંની બીજી લહેરથી દેશભરમાં 50 સ્થળોએ ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ડો.પંકજ પટેલ સમજાવે છે કે સેરો સર્વેક્ષણમાં તમામ સ્ટ્રેઇનમાં 99 ટકા તો ડેલ્ટા વેરિએન્ટના કેસ હતા. એવી અપેક્ષા છે કે આ રસી ડેલ્ટા વેરિઅન્ટ પર પણ કામ કરશે. રસીના ત્રીજા તબક્કાનું ટેસ્ટિંગ એપ્રિલ, મે અને જૂનમાં થયું હતું જ્યારે બીજી લહેર ટોચ પર હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે વેરિએન્ટ પ્રમાણે રસીમાં ફેરફારની સંભાવના પણ છે.
28 દિવસના અંતરે ત્રણ ડોઝ
દુનિયાભરમાં હાલ વધુમાં વધુ બે ડોઝ ધરાવતી વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. ઝાયકોવ-ડી દુનિયાની પહેલી એવી વેક્સિન હશે જેના ત્રણેય ડોઝ 28 દિવસનાં અંતરે આપવામાં આવશે.
બાળકો પર પણ અસરકારક?
ઝાયકોવ-ડી રસીનું પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં 28 હજાર લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી, હજારો લોકો 12 થી 18 વર્ષની વયના હતા. ડિસેમ્બર 2020 માં, પહેલા અને બીજા તબક્કાના ના ટ્રાયલને ટાંકીને ઝાયડસ ગ્રુપના અધ્યક્ષ ડો.પંકજ આર પટેલે કહ્યું કે, રસી સલામત અને અસરકારક છે અને બાળકો પર પણ અસર કરી શકે છે.
સિરિંજથી નહીં લાગે વેક્સિન
આ વેક્સિન લેવા માટે સિરિંજનો ઉપયોગ નહીં કરવો પડે પરંતુ તેની જગ્યાએ સ્પ્રિંગયુક્ત એક ડીવાઇસનાં ઉપયોગથી સ્કિનમાં આપવાની રહેશે.
દર મહિને એક કરોડ ડોઝનું ઉત્પાદન
ડો.પટેલે એમ પણ કહ્યું હતું કે જો રસીને મંજૂરી મળે તો દર વર્ષે 12 કરોડ ડોઝનું ઉત્પાદન શક્ય છે. આ પ્રમાણે, દર વર્ષે 40 લાખ લોકો રસીના ત્રણ ડોઝ મેળવી શકશે. કંપની એક નવું ઉત્પાદન એકમ પણ સ્થાપી રહી છે જે આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે જ્યાં ઉત્પાદન ઓગસ્ટના મધ્યથી શરૂ થશે. દર મહિને એક કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે અને અપેક્ષા છે કે ડિસેમ્બર સુધીમાં 5 કરોડ ડોઝ મળી જશે.