ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં લાગેલા કેટલાક પોસ્ટર ચર્ચામાં આવ્યા છે. જેના પર યોગી ફોર પીએમ લખ્યું છે. એક બાજુ પીએમ મોદીનો ફોટો છે અને બીજી બાજુ યોગીનો ફોટો છે.
પ્રધાનમંત્રીના ફોટા નીચે લખ્યું છે કે 'ઝુમલેબાજ કા નામ મોદી' અને યોગીના ફોટા નીચે લખ્યું છે કે 'હિન્દુત્વ કા બ્રાન્ડ યોગી' રાજધાનીમાં 2-3 જગ્યાએ આ પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા છે. જ્યારે સવારમાં લોકોની નજર આ પોસ્ટર પર પડી તો બધા ચોકી ઉઠ્યા હતા.
કોઇએ આ વિશે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે પોસ્ટરમાં 10 ફેબ્રુઆરીએ લખનઉના રામબાઇ મેદાનમાં યોજાવનાર કોઇ ધર્મસભા વિશે લખેલું છે.
સૌથી ઉપર લખેલું છે કે 'યોગી લાઓ દેશ બચાઓ' ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ યોજાવનાર ધર્મસભાનો ઉલ્લેખ છે. આ પોસ્ટર ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેના તરફથી લગાવવામાં આવ્યા છે.
પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે અને વિવાદિત પોસ્ટર ઉતારી પોલીસે કબ્જે કર્યા છે. આમ તો પોસ્ટર જોવામાં કોઇની મજાક લાગી રહી હતી પરંતુ જાણવા મળ્યું છે કે આ પોસ્ટર લગાવનાર બીજુ કોઇ નહીં પણ શિવપાલ યાદવની એકદમ નજીક રહેલ અમિત જાની છે.