યુક્રેને આ તથ્યને સ્વીકારવું જોઈએ કે તે NATOમાં સામેલ નહીં થાય
રશિયા સાથે છેડાયેલ જંગ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તરફથી સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, 'યુક્રેન NATOમાં સામેલ નહીં થાય.' રશિયાની ન્યુઝ એજન્સીના જણાવ્યાં અનુસાર, ઝેલેન્સ્કીનું કહેવું છે કે, 'યુક્રેને આ તથ્યને સ્વીકારવું જોઈએ કે તે નાટોમાં સામેલ નહીં થાય.'
બીજી તરફ યુક્રેન અને રશિયાની વાતચીતને લઇને વધુ એક રાઉન્ડ યોજવાની યોજનાએ રાજદ્વારી વાટાઘાટોનો માર્ગ ખોલી દીધો છે. આ સાથે રશિયન સેના યુક્રેનના ઘણાં શહેરો પર હુમલો કરવાનું હજુ પણ ચાલુ જ રાખે છે. જેના કારણે માનવીય સંકટ વધુ ઘેરું બન્યું છે. મંગળવારે સૂર્ય બહાર આવવાના થોડાં જ સમય પહેલાં કીવ મોટા વિસ્ફોટોથી હચમચી ગયું હતું અને રશિયાએ ઘણા મોરચે તેની આગેવાની વધારી દીધી. બીજી તરફ, રશિયન સૈન્ય દ્વારા ઘેરાયેલા મારિયુપોલ શહેરમાંથી 160 નાગરિકોની કારોનો કાફલો નિયુક્ત માનવતાવાદી કોરિડોરમાંથી રવાના થયો.
અત્રે તમને જણાવી દઇએ કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 20મો દિવસ છે અને રશિયા કોઈ પણ ભોગે યુક્રેનને પાડી દેવા માગે છે એટલે કે હવે તેણે મોટાપાયે હુમલાઓ શરુ કર્યાં છે. આવા એક મોટા હુમલામાં રશિયાએ યુક્રેનમાં મિસાઈલ ઝીંકીને ટીવી ટાવર ઉડાવી મૂક્યું હતું જેમાં 19 લોકોના મોત થયા હતા તથા સેંકડો લોકો ઘાયલ થયા છે. ગર્વનર વિટાલીએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ટીવી ટાવરના કાટમાળમાં ઘણા લોકો ફસાયા છે.
યુક્રેનના 50થી વધારે શહેરો રશિયાના હુમલાના ટાર્ગેટ પર
યુક્રેનના 50થી વધારે શહેરો રશિયાના હુમલાના ટાર્ગેટ પર છે. નબળા પાડોશી દેશ પર સંપૂર્ણ કંટ્રોલ કરવા માટે નિષ્ફળ રહેલા રશિયાએ હુમલા વધારે આક્રમક કર્યા છે. બોમ્બ બ્લાસ્ટ, ટેંક, દારૂગોળા, રોકેટ અને મિસાઈલના હુમલાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. તેની ભયંકર તસ્વીરો પણ સામે આવી છે. એક અનુમાન મુજબ રશિયાના હુમલાના પરિણામથી એકલા મૈરિયૂપોલમાં જ 2500થી વધારે નાગરિકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો. યુક્રેનના જણાવ્યા અનુસાર રશિયાના હુમલામાં સૈનિકોથી વધારે સામાન્ય નાગરિકોના મોત થયા છે.
પૂર્વ અમેરિકી સૈન્ય અધિકારીના દાવાથી ખળભળાટ મચ્યો
રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને આજે 20મો દિવસ છે. આ તમામની વચ્ચે બંને દેશોની વચ્ચે અત્યાર સુધીમાં કેટલાય દૌરની વાતચીત થઈ ચુકી છે. પણ જંગ ખતમ થવાનું નામ નથી લેતું. લાંબા ખેંચાતા જંગની વચ્ચે રશિયાના સૈન્ય ઉપકરણો અને દારૂગોળા ખતમ થઈ રહ્યા છે. પૂર્વ અમેરિકી સૈન્ય અધિકારીએ દાવો કર્યો છે કે, રશિયાની પાસે ફક્ત દશ દિવસ સુધી ચાલે એટલો જ દારૂગોળો બચ્યો છે. તો વળી યુક્રેન વિરુદ્ધ રશિયા મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટ 16 માર્ચના રોજ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.