રશિયા સામેના યુદ્ધમાં 'NATO'ની તર્જ પર ઝેલેન્સ્કી યુક્રેન માટે પોતાનું 'નાટો' બનાવવા ઇચ્છે છે ત્યારે PM મોદીને પણ આ સુરક્ષા 'કવચ'માં સામેલ થવા વિનંતી કરી છે.
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 44 દિવસથી ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને સમાપ્ત કરવા માટે અનેક રાઉન્ડની વાતચીત થઈ
રશિયા સામે બાથ ભીડવા માટે 'નાટો' બનાવવા ઇચ્છે છે યુક્રેન
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 44 દિવસથી ભીષણ જંગ શરૂ છે. ત્યારે સુપરપાવર રશિયા પશ્ચિમી દેશોના ઘાતક હથિયારોથી મોટા પ્રમાણમાં નુકસાન થયા બાદ પણ યુક્રેન સામે હાર માનવા તૈયાર નથી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટેની વાતચીતના અનેક રાઉન્ડ થઇ ચૂક્યાં છે તેમ છતાં કોઈ સફળતા નથી મળી. યુક્રેને કહ્યું કે, તે રશિયાના પ્રાદેશિક દાવા પર વાટાઘાટો કરવા તૈયાર છે પરંતુ એક શરત સાથે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ માંગ કરી છે કે, વિશ્વભરના દેશોનું એક જૂથ તેમને રશિયા સામે સુરક્ષાની ગેરંટી આપે. જણાવી દઇએ કે, ઝેલેન્સ્કી નાટોની તર્જ પર યુક્રેન માટે પોતાનું 'નાટો' બનાવવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સુરક્ષા 'કવચ'માં સામેલ થવા વિનંતી કરી છે. દરમિયાન, ફ્રાન્સ, તુર્કી સહિત અનેક દેશો સુરક્ષાની ગેરંટી આપવા સંમત થયા છે. ત્યારે હવે યુક્રેનની નજર ભારત પર ટકેલી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ એક ભારતીય ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'અમે માનવતાવાદી સહાય આપવા બદલ ભારતનો આભાર માનીએ છીએ પરંતુ હું ઈચ્છું છું કે, પીએમ મોદી યુક્રેન માટે એક સુરક્ષા ગેરેન્ટર બનવા વિશે વિચારે. જો રશિયા આનું ઉલ્લંઘન કરે છે તો બાંયધરી આપનારા તેની વિરુદ્ધ થઈ જશે. હું બંને દેશોના લોકો અને સરકારો વચ્ચે વિશેષ સંબંધ ઈચ્છું છું.' ઝેલેન્સ્કીએ એ પણ યાદ અપાવ્યું કે, ભારતનો સંબંધ રશિયા સાથે નહીં પણ સોવિયત સંઘ સાથે છે. તેઓએ કહ્યું કે, 'હું સમજી શકું છું કે રશિયા અને યુક્રેનના સંબંધોમાં સંતુલન જાળવવું મુશ્કેલ છે. સમજદારી એ જોવામાં રહેલી છે કે, ભવિષ્યમાં શું થવા જઇ રહ્યું છે.'
ભારતના આધારે રશિયાનો 'શિકાર' કરવા ઇચ્છે છે ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ કહ્યું કે, તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરવા ઇચ્છે છે અને તેની પાસે કોઈ પૂર્વ શરત નથી. તેઓએ નામ લઇને કહ્યું કે, તે સુરક્ષા ગેરેન્ટર તરીકે ભારતનું સ્વાગત કરશે.
હવે ઝેલેન્સ્કીએ ભારતને સુરક્ષા બનવાની અપીલ કરીને એક કાંકરે બે શિકાર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત વિશ્વની ચોથી સૈન્ય શક્તિ છે અને સંકટના સમયે યુક્રેનને મોટી મદદ કરી શકે છે. આ સાથે ભારત રશિયાના સૌથી નજીકના મિત્રોમાં સામેલ છે. ભારત દર વર્ષે રશિયા પાસેથી અબજો ડોલરના શસ્ત્રો અને અન્ય સામાન ખરીદે છે. જો ભારત યુક્રેન સાથે જશે તો તે રશિયા પર દબાણ કરશે. આ જ કારણ છે કે, ઝેલેન્સ્કી ઇચ્છે છે કે, ભારતને સુરક્ષા ગેરેન્ટર દેશોના જૂથમાં સામેલ કરવામાં આવે. જો કે પીએમ મોદી માટે યુક્રેનના સુરક્ષા ગેરેન્ટર બનવું આસાન નહીં હોય. તેની પાછળનું કારણ એ છે કે જો ભવિષ્યમાં ફરી ક્યારેય યુદ્ધ થશે તો કોણ નક્કી કરશે કે રશિયા સાચુ છે કે યુક્રેન.
જાણો કેવી રીતે રશિયા વિરૂદ્ધ કામ કરશે યુક્રેનનું પોતાનું 'નાટો'
યુક્રેનના વરિષ્ઠ વાર્તાકાર મયખૈલો પોડોયલનું કહેવું છે કે, સુરક્ષા ગેરંટી યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ જો યુક્રેનને લઇને જંગ છેડાય છે તો કથિત સુરક્ષા બાંહેધરી આપનારાઓની સૈન્ય, શસ્ત્રો અથવા નાણાકીય સહાય પૂરી પાડવાની કાનૂની જવાબદારી રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ મામલે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને તુર્કી સાથે વાતચીત ચાલી રહી છે. પોડોલયે એવો દાવો કર્યો કે, આ દેશો શરત સ્વીકારવા તૈયાર છે. આ કરારનો અર્થ એ છે કે, જે દેશ હુમલો કરવા માંગે છે તે જાણશે કે યુક્રેન એકલું નથી,"
તેમણે કહ્યું કે, 'અન્ય દેશો તેમની સેના અને હથિયારો સાથે ઉભા છે. જો કે યુક્રેનની આ માંગ પૂરી કરવામાં અનેક અવરોધો છે. આનાથી રશિયા સાથે પશ્ચિમી દેશોનું સીધું યુદ્ધ થઈ શકે છે. બીજી તરફ જો ભારત પણ આમાં જોડાય છે તો ભારતે પણ રશિયા સામે સેના અને હથિયારો મોકલવા પડશે જે ભારત ક્યારેય નહીં કરે. આવી સ્થિતિમાં ભારત માટે યુક્રેનના 'નાટો'માં સામેલ થવું લગભગ અશક્ય છે.