મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીનું 100 વર્ષની વયે ભાવનગરમાં નિધન, પુત્રએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
અડધી સદીની વાચનયાત્રાનો 'વિરામ'
મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન
ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર હતા
ગુજરાતી સાહિત્ય જગતને આજે કદી ન પૂરાય એવી ખોટ પડી છે. ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું આજે નિધન થયું છે. ૩ ઓગસ્ટ ૨૦૨૨ રાત્રે 8 વાગે તેઓ સ્વર્ગવાસ થયા છે. ૨૦- જૂન, ૧૯૨૩ના રોજ મુંબઇ જન્મેલા મહેન્દ્ર મેઘાણીએ ગઈ 20 જુન 2022ના રોજ 100 વર્ષ પૂર્ણ કર્યા હતા.
મિલાપ, લોકમિલાપ, કાવ્યકોડિયાં જેવા ગુણવત્તાસભર પ્રકાશનો થકી સાત દાયકા સુધી સાહિત્ય થકી સંસ્કાર સિંચન કરનાર મહેન્દ્ર મેઘાણી હવે નથી રહ્યાં. ભાવનગર ખાતે 100 વર્ષની વયે નિધન થયું છે. કસુંબલ ગાયક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીએ જાળવી રાખ્યો હતો. તેમણે લખેલી અડધી સદીની વાચનયાત્રા અને મિલાપમાં સાહિત્ય રસ ઝરતો હતો. કહી શકાય કે હવે અડધી સદીની વાચનયાત્રાનો 'વિરામ' થયો છે.
હરતી ફરતી વિદ્યાપીઠના નામે ઓળખાતા
મહેન્દ્રભાઈ અન્ય સામયિકો કે પુસ્તકોમાં વાંચવાં મળેલાં ઉત્તમ લખાણોને ટૂંકાવીને નજીવી કિંમતે પ્રસિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડતા હતા. લોકમિલાપે 100 કરતાં વધુ પુસ્તકો બહાર પાડ્યાં, લોકો સુધી લાખો નકલો વાચકોને પહોંચાડી હતી માટે હરતી-ફરતી વિદ્યાપીઠના નામે પણ તેઓ જાણીતા થયા હતા.ઝવેરચંદ મેઘાણીના 90મી જન્મજયંતિના વર્ષ 1986 માં તેમણે 90 ગામની 90 દિવસની વાચનયાત્રા કરી હતી. ‘અડધી સદીની વાચનયાત્રા’ નામનાં સાહિત્ય સંકલનના પાંચ ભાગમાં મહેન્દ્ર મેઘાણીએ 21 સદીમાં ખૂબ નામના મેળવી હતી.