ભારતને બે વર્લ્ડ કપ અપાવનારા ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો. આ પ્રસંગે યુવરાજે કહ્યું કે આ ક્ષણ તેમના માટે ખુબ જ ભાવુક છે અને તેમનું જીવન રોલર કોસ્ટર જેવુ રહ્યું છે.
યુવરાજે કહ્યું કે એ ઘણા સમયથી રિટાયરમેન્ટ વિશે વિચારી રહ્યા હતા અને હવે તેમનો પ્લાન આઇસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી-20 ટૂર્નામેન્ટમાં રમવાનો છે. આ દરમિયાન યુવરાજ સિંહે બે બોલરો વિશે પણ જણાવ્યું કે જેનાથી એમને ડર લાગતો હતો.
યુવરાજ સિંહે કહ્યું કે શ્રીલંકાના મહાન ઓફ સ્પિનર અને દુનિયાભરના બેસ્ટમેનને પોતાની આંગળીઓ પર નચાવનાર મુથૈયા મુરલીધરનથી એમને ડર લાગતો હતો. આ ઉપરાંત યુવરાજ સિંહ ઓસ્ટ્રેલિયાના ખતરનાક ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાનો સામનો કરવાથી પણ બચતા હતા. આ બે બોલર એમને સૌથી પડકારજનક લાગતા હતા. આ સાથે જ યુવરાજ સિંહે જણાવ્યું કે એ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને વેસ્ટઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેઇલનો ફેન છે.
યુવરાજ સિંહે પોતાના કરીયરની અંતિમ ટેસ્ટ વર્ષ 2012માં રમી હતી. ટી-20 ફોર્મેટમાં તે છેલ્લે 2017માં જોવા મળ્યા હતા. યુવરાજે વર્ષ 2000માં પહેલી વનડે, 2003માં પહેલી ટેસ્ટ અને 2007માં પહેલી ટી-20 મેચથી કરીયરની શરૂઆત કરી હતી.
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો જન્મ ચંદીગઢમાં વર્ષ 1981માં થયો હતો. યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી-20 મેચ રમી છે. ટેસ્ટમાં યુવરાજ સિંહે ત્રણ સદી અને 11 અર્ધસદીની મદદથી કુલ 1900 રન બનાવ્યા છે. જ્યારે વનડેમાં 14 સદી અને 52 અર્ધસદીની મદદથી 8701 રન બનાવ્યા છે.