ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિદેશી T-20 લીગમાં રમવાનું શરૂ કર્યું.
યુવરાજ સિંહે નિવૃત્તિની જાણકારી BCCIને મોકલીને ગ્લોબલ T-20 કેનેડા, કેરેબિયન પ્રીમિયર લીગ જેવી T-20 લીગમાં રમવાની મંજૂરી માગી હતી. બીસીસીઆઇ તરફથી મંજૂરી મળી ગઈ, પરંતુ યુવરાજની પહેલી જ વિદેશી T-20 લીગમાં નાણાંની ગરબડ થઈ. ગ્લોબલ T-20 કેનેડામાં ગઈ કાલે યુવીની ટીમ ટોરન્ટો નેશનલ્સ અને મોન્ટ્રિયલ ટાઇગર્સના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં રમવાનાં નાણાં ન મળતાં મેચ રમવાનો ઇનકાર કરી દીધો.
અહેવાલો અનુસાર બંને ટીમના ખેલાડીઓ સમયસર મેદાનમાં ના પહોંચ્યા, કારણ કે બધાએ ટીમ બસમાં બેસવાનો જ ઇનકાર કરી દીધો હતો. ખેલાડીઓએ બાકી નાણાંની માગણી કરી. બાદમાં આયોજકો સાથે ચર્ચા કર્યા બાદ ખેલાડી મેચ રમવા માટે મેદાનમાં પહોંચ્યા, પરંતુ આ મેચ રમવાથી યુવરાજસિંહ તો દૂર જ રહ્યો.
‘જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી અમે નહીં રમીએ’
ગ્લોબલ T-20 કેનેડામાં મોટા ખેલાડીઓએ હજુ સુધી નાણાં મળ્યાં નથી. આને કારણે ખેલાડીઓ નારાજ છે. એક ખેલાડીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, ''જ્યાં સુધી અમને નાણાં નહીં મળે ત્યાં સુધી અમે નહીં રમીએ.'' ટોરન્ટો અને મોન્ટ્રિયલ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર 10 વાગ્યાથી શરૂ થવાની હતી, પરંતુ એ મેચ બે કલાક મોડી એટલે કે 12 વાગ્યે શરૂ થઈ, જોકે ગ્લોબલ T-20 કેનેડાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ કારણસર મેચ શરૂ થવામાં મોડું થયું છે.
યુવરાજ મેચથી દૂર જ રહ્યો:
આયોજકો સાથે ચર્ચા કર્યા બાદ મામલો થાળે પડ્યો, પરંતુ ટોરન્ટો નેશનલ્સ ટીમનું નેતૃત્વ સંભાળી રહેલો યુવરાજસિંહ ગઈ કાલની મેચમાં ના રમ્યો, જોકે તે ગત મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તેના ન રમવાના પાછળ પૈસા પણ એક મહત્ત્વનું કારણ છે. ગત મેચમાં તે રિટાયર થઈ ગયો હતો. યુવરાજ આ ટૂર્નામેન્ટમાં પાંચ મેચ રમ્યો છે, જેમાં તેણે 14, 35, 45, 51 અને શૂન્ય રનની ઇનિંગ્સ રમી છે. તેનો સ્ટ્રાઇક રેટ 140થી વધુનો રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય ગરબડ ઉપરાંત આ લીગમાં ફિક્સિંગની પણ કોશિશ કરવામાં આવી છે. લીગમાં રમી રહેલા પાકિસ્તાની બેટ્સમેન ઉમર અકમલે ખુલાસો કર્યો હતો કે તેનો ફિક્સિંગ કરવા માટે સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેની જાણકારી તેણે PCBને આપી દીધી છે.