ભારતમાં કૃષિ કાયદાઓને લઈને દિલ્હીમાં ખેડૂતો હલ્લાબોલ કરી રહ્યા છે જેને ઘણા બધા લોકો તરફથી સમર્થન પણ મળી રહ્યું છે. પંજાબ હરિયાણાના ઘણા બધા સિતારાઓ ખેડૂતોના આંદોલનને ખુલીને સમર્થન આપી રહ્યા છે જેમાં પૂર્વ સુપરસ્ટાર ખેલાડી યુવરાજ સિંહના પિતાએ ખૂબ મોટો વિવાદ ઉભો કર્યો છે.
ખેડૂતોના સમર્થનમાં ભાષણ આપવા પહોંચ્યા હતા યોગરાજ સિંહ
ગુજરાતીઓને લઈને વિવાદિત નિવેદન
દિલ્હીની સરહદો પર બેસીને હરિયાણા અને પંજાબના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે યુવરાજસિંહના પિતા યોગરાજ સિંહ આ આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા. યોગરાજ સિંહે ગુજરાતીઓને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહેતા દેખાઈ રહ્યા છે કે ગુજરાતીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરાય.
ગુજરાતીઓ પર વિશ્વાસ ન કરાય : યોગરાજ સિંહ
યોગરાજ સિંહનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે હું મુંબઈમાં ગુજરાતીઓ સાથે રહ્યો છું. તેમના પર વિશ્વાસ ન કરાય. પછી ભલે તે માતા, બહેન અને દીકરીઓની કસમ ખાય તો પણ એમના પર વિશ્વાસ કરાય નહીં.તેમણે કહ્યું કે ગુજરાતીઓ મા-દીકરીની સોગંદ ખાઈને પણ ફરી જાય છે.
સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ
યોગરાજ સિંહના આ ભાષણ બાદ ઘણા બધા વિવાદો થયા છે જેમાં તેમણે ગુજરાતીઓને લઈને પણ આ નિવેદન આપ્યું છે કે બાદ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને સોશ્યલ મીડિયામાં લોકો તેના પર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે યોગરાજ સિંહ અમિત શાહ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યા હતા.
ખેડૂતો હવે આકરા પાણીએ
નોંધનીય છે કે આજે ખેડૂતોના વિરોધનો 11મો દિવસ છે અને કૃષિના નવા કાયદાઓ પાછા લેવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતો વિરોધ કરતા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર ખેડૂતો સાથે પાંચવાર બેઠક કરી પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં ત્યારે હવે આઠમી તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારતના બંધના એલાનને ઘણી બધી પાર્ટીઓ દ્વારા સમર્થન પણ મળી રહ્યું છે.