ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની દયનિય સ્થિતિને લઇ યુવરાજ જયવીરરાજસિંહ મેદાને આવ્યાં છે. દર્દીઓને પડી રહેલી મુશ્કેલીને લઇ યુવરાજે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડેહાથ લીધા. અને કહ્યું, અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકે તો, રાજીનામું આપી દે. સાથે જ રાજકીય પક્ષોને ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવું જોઈએ.
સત્તા મજા માણવા નથી લોકોના કામ કરવા માટે છેઃ ભાવનગરના યુવરાજ
ભાવનગરની હોસ્પિટલમાંથી થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે નારાજગી દર્શાવી છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો તેમાં લોકોને જમીન પર સૂવડાવીને સારવાર આપવામાં આવી રહી હતી.
ત્યારે ભાવનગરના યુવરાજે કહ્યું, આ પ્રકારની કામગીરી ન ચાલી શકે. લોકોએ રાજનેતાઓને સેવા કરવા માટે સત્તા આપી છે. સત્તાના પાવરની મજા માણવા માટે નહીં. ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ. અને જો કોઈ અધિકારી કે, નેતા કામ કરી શકતા નથી. તો જનતાની માફી માગી રાજીનામું આપે અને બીજાને જવાબદારી સોંપી દેવી જોઈએ.
લોકડાઉનના સમયમાં જ તમામ તૈયારીઓ કરી લેવાની હતી
ભાવનગરના યુવરાજે કહ્યું કે, આપણા માટે તબીબ સેવા સાથે જોડાયેલા તમામ લોકો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. અને સરકારના લોકડાઉન લગાવવાનો હેતું હતો કે, આ દરમિયાન મેડિકલ સેવાઓ માટે તૈયારી કરી શકાય છે. આમ છતાં કોરોનાની બીજી લહેરમાં મેડિકલ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકોને સારવાર મળતી નથી. અને જમીન પર સૂવડાવીને ઈલાજ કરવામાં આવી રહ્યો છે. ભાવનગરના યુવરાજે કહ્યું, રાજસ્થાનમાં મહેલો મોટા અને હોસ્પિટલ નાની છે. જ્યારે ગુજરાતમાં આવું જોવા મળશે નહીં. કારણ કે, આ પ્રજાવત્સલ રાજવીઓનો ગઢ છે.
ભાવનગરના તંત્ર પર લાગ્યા આક્ષેપ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાથી થતાં મૃત્યુનો આંક છૂપાવાઇ રહ્યો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ લાગ્યા છે. સરકારી ચોપડે અને સ્મશાનગૃહમાં નોંધાયેલા કેસ વચ્ચે જમીન આસમાનનો તફાવત હોવાનો દાવો છે. શહેરના ચાર સ્મશાન ગૃહમાં દરરોજ 30થી વધુ લોકોના કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. જ્યારે સરકારી ચોપડે માત્ર બે જ લોકોના મોત દર્શાવાઇ રહ્યાં છે. જેને લઇ કોંગ્રેસે પણ સરકાર પર આરોપ લગાવ્યો છે. અને કહ્યું, કે સરકાર મોતના આંક છૂપાવવાનો ખેલ રમી રહી છે.