કણભાના પરઢોલ ગામના યુવકે પોતાના બે બાળકો સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પત્નીના ત્રાસથી વિડીયો બનાવીને યુવકે કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
પત્નીના ત્રાસથી વિડીયો બનાવીને યુવકે કર્યો આપઘાત
સાસરિયા ભરણપોષણના નામે 10 લાખની માંગ કરતા હોવાની રાવ
બાળકોની ચિચિયારીઓથી ગુંજતું ઘરમાં આક્રંદ
કણભાના પરઢોલ ગામના વિનોદ ઠાકોરએ પત્ની અને સાસરિયાના ત્રાસથી આયખું ટૂંકાવી લીધું છે. યુવકે વિડીયો બનાવીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. વિનોદએ પ્રથમ પોતાના 2 બાળકોને આરવ અને ઋષભને કેનાલમાં ફેંકી ત્યારબાદ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને પોતાના માતા પિતાને યાદ કરીને પત્નીનાઆ ત્રાસની વેદના વ્યક્ત કરી હતી. આ ઘટનાએ પરઢોલ ગામમાં માતમ ફેલાઈ દીધો છે. હસતો રમતો પરિવાર સામાન્ય ઝઘડાને લઇને પલભરમાં વિખેરાઈ ગયો હતો.
6 વર્ષ પહેલાં વિનોદ ઠાકોરના લગ્ન થયા હતા
6 વર્ષ પહેલાં વિનોદ ઠાકોરના લગ્ન કોમલ ઠાકોર સાથે થયા હતા. બન્ને ફૂલ જેવા બે બાળકો હતા. વિનોદ ખેતીવાડીમાં મજૂરી કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. માતા પિતાનો એકનો એક દીકરો હતો. પરંતુ 7 મહિના સામાન્ય બાબતે પત્ની કોમલ સાથે ઝઘડો થતા તે રિસાઈને પિયર જતી રહી. તેને મનાવવાનો અનેક પ્રયાસ બાદ પણ તે પરત આવી ન હતી. ત્યારબાદ સાસરિયા છૂટાછેડા અને ભરણપોષણના નામે 10 લાખની માંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેના પિતાએ કર્યો હતો. આ દબાણ અને તણાવમાં વિનોદએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની રાવ ઉઠાવી હતી.
2 સંતાન સાથે રાયપુર કેનાલમાં આત્મહત્યા કરનાર વિનોદનો મૃતદેહ અડાલજ કેનાલથી મળ્યો. જ્યારે 3 વર્ષના આરવનો મૃતદેહ કડીના બાવલુ નજીકથી મળ્યો જ્યારે ઋષભનો કડી કેનાલથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકોની ચિચિયારીઓથી ગુંજતું આ ઘરમાં આક્રંદ જોવા મળે છે. આ પરિવાર ન્યાનની માંગ કરી રહ્યો છે. ઘરના વંશવેલો ગુમાવી દેનાર પિતાની આંખો ન્યાય માંગે છે. ત્યારે આ કેસમાં બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરાઇ છે. પરંતુ આપઘાતનું કારણ બનેલી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને સજા આપવાની માંગ માતા પિતા કરી રહ્યા છે. હાલમાં પોલીસે આ કેસમાં પરિવારના નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી છે.