સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં મોબાઈલના ઝઘડામાં હત્યા કરી દેવાઈ, અન્ય એક ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ
સુરતના ડીંડોલીમાં યુવકની હત્યા
રાજા વર્મા નામના યુવકની હત્યા
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
સુરતમાં દિવસેને દિવસે ચોરી, લૂટફાટ, ગુંડાગર્દી હત્યાના બનાવો બની રહ્યા છે. એક તરફ અસમાજીક તત્વોએ સુરતને માથે લીધું છે. તો બીજી તરફ હત્યારાઓમાંથી પોલીસનો ડર ગાયબ જ થઈ ગયો છે. વધુ એક મર્ડરનો બનાવ સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં બન્યો છે. ત્રિપાઠી હોસ્પિટલની સામે રવિવારે મોડી રાત્રે નજીવ બાબતમાં અંગત અદાવત રાખી હત્યા કરી દેવાઈ છે.
શું છે સમગ્ર બનાવ?
બનાવની પ્રાથમિક માહિતી અનુસાર ડીંડોલીમાં આવેલી ત્રિપાઠી હોસ્પિટલ નજીક મજૂરી કરતાં શ્રમિકને બે શખ્સો દ્વારા રહેશી નાખવામાં આવ્યો હતો. મૂળ યુપીના સંદીપ સુર્યનાથ રોય તેના સાથીકામદાર અખિલેશ અને અંકુર શુકલા સાથે રહેતો હતો. રૂમ પાર્ટનર દ્વારા શાકભાજી લેવા સંદીપ રૉયને મોકલવામાં આવ્યો હતો. ત્યાં બે આરોપી યુવાનો રાજા વર્મા સાથે ઝઘડો કરતાં હતા. તેમાંથી એક આરોપીએ અન્યને કહ્યું કે રાજા વર્માને પતાવી દેવાનો છે. હું ચપ્પુથી મારુ જ છું તું પણ માર.. બંને આરોપીઑ રાજા વર્માને પગના ભાગે એક બાદ એક છરીઓના ઘા મારી રહ્યા તે બાદ લોહીલુહાણ હાલતમાં તેણે ઘટનાસ્થળે છોડી મુકાયો હતો.
પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો
આટલેથી ન અટકતા શાકભાજી લેવા ગયેલા સંદીપ રાયને પણ મૃતક રાજા વર્માનો માણસ સમજી જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને આરોપીઓ બજાર વચ્ચે સંદીપ રાયને દોડાવ્યો હતો. અને રેલવે ટ્રેકની ગલીમાં સંદીપ પર પણ છરીથી હુમલો કરી દીધો હતો. જે બાદ ઘાયલ સંદીપે બૂમરાળ કરતાં આરોપીઑ નાશી છૂટયા હતા. 108 દ્વારા રાજા વર્મા અને સંદીપ રાયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાજા વર્માને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. જ્યારે સંદીપ રાય સારવાર હેઠળ છે. પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોબાઈલને લઈને ઝઘડો ચાલતો હતોમ તેની અદાવત રાખી રાજા વર્માની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.