કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ તૈયાર કરી દીધું
કોંગ્રેસના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શ્રેષ્ઠ હશે: ચેન્નીથલા
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ તૈયાર કરી દીધું છે. આ અંગે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ કહ્યું કે, 'ગુજરાતમાં કોંગ્રેસ સારી સ્થિતિમાં છે. નવા ચહેરાઓ, નવજુવાન અને મહિલાઓને ટિકિટમાં પ્રાધાન્ય અપાયું છે. કોંગ્રેસના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શ્રેષ્ઠ હશે. ગુજરાત કોંગ્રેસમાં યુનિટી જોવા મળી રહી છે. ઉમેદવારોના બાયોડેટા મેળવી PEC-સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણય લેવાશે. રાહુલ ગાંધીની મિટિંગ બાદ કોંગ્રેસમાં જોશ વધ્યો છે. સ્વાર્થ માટે લોકો પક્ષ છોડીને જતા હોય છે.'
11 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાંચ્છુકો દાવેદારી કરી શકશે
કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે, તારીખ 11 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાંચ્છુકો દાવેદારી કરી શકશે. એ માટે પ્રદેશ કોંગ્રેસમાં બાયોડેટા આપવાના રહેશે. આગામી તારીખ 21, 22 અને 23 સપ્ટેમ્બરના રોજ ઇલેક્શન કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં દાવેદારોને સાંભળવાના આવશે. દાવેદારોની પેનલ બનાવી સ્ક્રીનિંગ કમિટી સમક્ષ રજૂ કરાશે. રાહુલ ગાંધી પ્રવાસ બાદ ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયું છે. ઉમેદવારોની પસંદગી માટે કોઇ માપદંડ નહીં, માત્ર જીતનો જ માપદંડ છે. આ ઉમેદવારોમાં આ વખતે નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ અપાશે.
ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એકબાદ એક લાગી રહ્યો છે ઝટકો
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ભાજપ અને આપ જેવી પાર્ટીઓ રાજ્યમાં રોજ નવી સભાઓ કરીને જનતા સુધી પહોંચવા મથી રહી છે.પરંતુ આવા સમયે કોંગ્રેસ પોતાના જ કાર્યકરોથી જાણે વિમુખ થઈ રહી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા અને બાદમાં પણ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસને એકબાક એક ઝટકાઓ લાગી રહ્યાં છે. ત્યારે ગઇકાલે સોમવારે સાંજે વધુ એક મોટો ફટકો પડ્યો હતો. ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે યુથ કોંગ્રેસમાં રાજીનામું ધરી દીધું હતું. જૂથબંધીના કારણે હેમાંગ પટેલે રાજીનામું આપ્યાની ચર્ચાએ જોર પડક્યું છે. એ અગાઉ વિશ્વનાથ વાઘેલાએ પણ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.
વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમરે આજે કેસરિયો ધારણ કર્યો
તમને જણાવી દઇએ કે, આજ રોજ યુથ કોગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર ભાજપમાં જોડાયા છે. તદુપરાંત જીગર માળી, પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર પણ ભાજપમાં જોડાયા. ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારામ ભાવરી પણ ભાજપમાં જોડાઇ ગયા છે. સમર્થકો સાથે કોંગ્રેસના યુવા નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગોરધન ઝડફિયાએ ખેસ પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું. વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાયા બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'ભાજપના નેતાઓ-કાર્યકરોથી પ્રેરાઈને હું ભાજપમાં જોડાયો.' મહત્વનું છે કે, વિશ્વનાથસિંહે બે દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.