લંડન યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા સ્ટડી અનુસાર, સ્માર્ટફોનની સ્ક્રીનનો ટેસ્ટ કરાવીને જાણી શકાય છે કે વ્યક્તિને કોરોના થયો છે કે નહીં.
લંડન યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા સ્ટડીમાં દાવો
મોબાઈલની સ્ક્રીનના ટેસ્ટથી કોરોના થયો છે કે નહીં તે ખબર પડે છે
ઓછી આવક ધરાવતા દેશો માટે આ મેથડ ફાયદાકારક
કોરોનાનો ફેલાવો અટકાવવા માટે એક મહત્વનો ઉપાય ટેસ્ટિંગ છે પરંતુ હવે નવી ટેકનોલોજી સ્માર્ટફોનની સ્ક્રીનના સેમ્પલોને આધારે કોરોનાનું નિદાન કરવામાં મદદ કરી શકે છે.
મધ્ય અને ઓછી આવક ધરાવતા દેશો માટે નોન ઈવેસિવ એન્ડ લો કોસ્ટ ફોન સ્ક્રીન ટેસ્ટીંગ (PoST) આર્શીવાદ સમાન નીવડી શકે છે.
સંશોધકોએ આવી રીતે કર્યો સ્ટડી
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ પોસ્ટ મેથડનો ઉપયોગ કરીને લોકોની મોબાઈલ સ્ક્રીનમાંથી એકત્ર કરેલા સેમ્પલોનો અભ્યાસ કર્યો. સેમ્પલોના અભ્યાસમાં સંશોધકોને જણાયું કે જે લોકો RT-PCR ટેસ્ટમાં કોરોના સંક્રમિત નીકળ્યાં હતા તેમના મોબાઈલના સ્ક્રીનના ટેસ્ટ કરાયા ત્યારે પણ તેઓ કોરોના સંક્રમિત જોવા મળ્યાં હતા.
હવાથી સંક્રમણ ફેલાય છે?
જ્યારે કોઈ ઉધરસ કે છીંક ખાય ત્યારે નાક અથવા મોંમાંથી નીકળેલા પાણીના કણ હવામાં ફેલાય છે. હવાના માધ્યમથી તે જમીન પર અથવા તેની આસપાસની દરેક વસ્તુ પર ફેલાય છે. જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેના કિસ્સામાં પણ આવું જ થશે. તેને છીંક ના આવે તો હળવી ઉધરસ કે મોટેથી બોલવાથી પણ હવામાં ટીપાં ફેલાય છે. સંક્રમિત વ્યક્તિની આસપાસની સપાટી પણ વાયરસ વહન કરતી હોવાનું અત્યાર સુધી ઘણા અભ્યાસોમાં સામે આવી ચૂક્યું છે.
PoST શું છે
PoST ક્લિનિકલ ટેસ્ટ કરતા એક પર્યાવરણીય ટેસ્ટ છે અને સંશોધકોનો દાવો છે કે કોરોનાના પરંપરાગત RT-PCR ટેસ્ટ કરતા આ ટેસ્ટ ઓછો આક્રમક અને ઓછો ખર્ચાળ છે. તેમાં મોબાઈલના સ્ક્રીનના સ્વેબના સેમ્પલોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. વાયરલ લોડ વધુ હોય તેવા લોકોના ટેસ્ટના પરિણામ 100 ટકા સુધી સાચા હતા. જયારે ઓછો વાયરલ લોડ ધરાવનારમાં આ પ્રમાણ 81.3 ટકા જેટલું હતું. નેગેટિવ હોય તેવા લોકોનું પરિણામ 98.8 ટકા જેટલું સાચું આવ્યું હતું. હવે વૈજ્ઞાનિકો મોટા પાયે મોબાઇલ સ્ક્રીન ટેસ્ટથી સંક્રમણને ઝડપથી શોધી શકાય તેમ માને છે. મોબાઇલ સ્ક્રીનના ટેસ્ટ માટે મશીન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સપાટીથી ઇન્ફેક્શન ફેલાય?
આ બાબતે સતત અભ્યાસ થઈ રહ્યા છે. સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન CDCનું માનવું છે કે, સંક્રમિત સપાટીથી બીમારી ફેલાઈ શકે છે. જોકે, તેની શક્યતા ઓછી છે. CDC વધુ સ્પષ્ટતા કરતા કહે છે કે, જે જગ્યાએ વાયરસ સંક્રમિત વ્યક્તિના કરને પહોંચ્યો છે, ત્યાં અડવાથી સ્વાસ્થ્ય વ્યક્તિ બીમાર પડે તેવું 10000માંથી 1 કિસ્સામાં નોંધાય છે.
કઈ સપાટી પર કેટલા સમય માટે વાયરસ રહે છે?
જે રીતે હવામાં ફેલાય તેવી રીતે સપાટી પર ફેલાય તેવું શરૂઆતમાં વૈજ્ઞાનિકો માનતા હતા. પ્લાસ્ટિક અને સ્ટીકની સપાટી પર વાયરસ અનેક દિવસો સુધી જીવિત રહી શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ CDCએ ચેતવણી આપી હતી કે, સંક્રમિત સપાટીને અડકયા બાદ આંખ, નાક અને કાનને અડકવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. અલબત પાછળથી સ્પષ્ટ થયું કે, સપાટી કરતા હવાથી સંક્રમણનો ખતરો વધુ છે.