ગ્લોબલ વોર્મિગ અને વધતા જતા પ્રદૂષણને કારણે હવે ધીમેધીમે પણ લોકોમાં વૃક્ષો ઉગાડવાને લઈને જાગૃતિ આવી છે. જો કે દેશની એક અગ્રણી ઓર્ગેનિક સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપનીએ આ બાબતમાં પણ નવો ચીલો ચાતર્યો છે.
અમદાવાદની અદિતિ અને માનસી વ્યાસે સ્થાપેલી આ કંપનીએ પોતાની 12મી વર્ષગાંઠ નિમિત્તે પોતાના ગ્રાહકોનાં નામથી વૃક્ષ વાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જે વ્યક્તિ કંપનીની વેબસાઈટ પરથી તેમની પ્રોડક્ટ ખરીદે તેનાં નામથી કંપની તેનાં સાણંદ સ્થિત 75 એકરનાં ફાર્મમાં તેનાં નામથી લીમડો, વડ, પીપળો, આસોપાલવ પૈકીનાં વૃક્ષ વાવે છે.
એટલું જ નહીં તેનું જતન કરીને તેનાં ફોટાં પાડીને નિયમિત રીતે ગ્રાહકને માહિતગાર કરે છે. સાથે જ તેઓ ઉચ્ચ ગુણવત્તાનાં તુલસીનાં ઓર્ગેનિક બીજ પણ નિઃશુલ્ક પુરાં પાડે છે. આગામી એક વર્ષમાં આ રીતે 20 હજાર વૃક્ષો વાવવાનો તેમણે ટાર્ગેટ રાખ્યો છે.
તો અમદાવાદ શહેરમાં પડતર જમીનમાં આ રીતે વૃક્ષો વાવવા માટે પણ તેમણે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસે મંજૂરી માંગી છે. જો બધું યોગ્ય રીતે પાર પડશે તો અમદાવાદ શહેરમાં પણ આ રીતે વ્યક્તિનાં નામથી વૃક્ષો લહેરાતા જોવા મળશે. #SOWWATERGROW નામની આ પહેલને ટુંક જ સમયમાં દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.