ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડનાર વાહનચાલકો પર ડિજિટલ સકંજો કસવાની તૈયારીઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો અપાય છે પરંતુ અમદાવાદીઓ તેનો દંડ ભરતા નથી.
આ વાહનચાલક હવે પોતાનો દંડ ભર્યા વગર રાજ્યની કોઈ આરટીઓમાં પોતાનું કામ તો નહિ કરાવી શકે. ઈ-મેમોનો દંડ ૧૦ દિવસમાં જો નહીં ભરે તો તેનું લાઇસન્સ પણ રદ થઈ જશે. ટ્રાફિક અને આરટીઓ સાથે મળીને આ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ કરી રહ્યા છે. જેથી વાહન ચાલકોનું બેદરકારી ભર્યું વલણ હવે મોંઘુ પડશે.
એક અંદાજ મુજબ શહેરના દોઢ લાખથી વધુ વાહન ચાલકોએ ઈ- મેમોનો દંડ ભર્યો નથી. ટ્રાફિક પોલીસ વિભાગ પાસે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ટ્રાફિક વિભાગે વાહન માલિકોને ઈ- મેમો તો મોકલાવી દીધા છે પરંતુ વાહનચાલકોએ બેદરકારી દાખવીને છેલ્લા છ માસ દરમિયાન હજુ પણ દંડ ભર્યો નથી.
આ અંગે આરટીઓ એસ.પી. મુનીઆએ જણાવ્યું હતું કે ટ્રાફિક વિભાગ દ્વારા આવાં વાહનોની યાદી અમને મોકલવામાં આવે છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યા પછી વાહનચાલકે તેમનાં ચલણ ચૂકવ્યાં નથી. આવા વાહનોનું લિસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આવાં ૨૫ હજાર જેટલા ચાલકોનું લિસ્ટ બની ચૂક્યું છે.
આ વાહનોના માલિકી હક્ક બદલાયા હશે તો પણ દંડ ચૂકવવો પડશે અને હવે જો તેઓ દંડ નહીં ચૂકવે તો તેમનાં લાઇસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરાશે. મેમો મળ્યા પછી ચલણ ન ભર્યું હોય તેવા કિસ્સામાં લાઇસન્સ જપ્તિનો નિયમ આખા ગુજરાતમાં લાગુ પડે છે. હવે આવા વાહનચાલકો પર સકંજો મજબૂત કરવા માટે ટ્રાફિક વિભાગ અને આરટીઓ એક સંયુક્ત ડ્રાઇવ હાથ ધરશે.
જેમાં દસ દિવસની અંદર જો દંડ નહીં ભરાય તો લાઇસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરાશે. રાજ્યનાં તમામ આરટીઓ વાહન સોફ્ટવેર હેઠળ આવરી લેવાયેલી હોવાથી વાહનચાલકને અપાતા મેમોની જાણકારી બધી જ આરટીઓ કચેરી પાસે પહોંચી રહી છે. વાહનચાલક દંડ ભર્યા વગર આરટીઓ સાથે જોડાયેલું કોઈ કામ નહિ કરી શકે.