અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે એવામાં રાજ્ય (Gujarat) માં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. એવામાં અરવલ્લીના ખોડંબા ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
અરવલ્લીના ખોડંબા ગામના યુવકનું ભેદી મોત
તાવ આવ્યાના 24 કલાકમાં જ યુવાનનું મોત
અમદાવાદ સિવિલમાં યુવકનું સારવાર દરમિયાન મોત
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખોડંબા ગામના એક 24 વર્ષીય યુવકનું ભેદી મોત નિપજ્યું છે. 24 વર્ષીય યુવાનનું તાવ આવ્યાના 24 કલાકમાં જ મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. તેમજ પરિવારજન પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. યુવક તાવ આવ્યા બાદ કોમામાં સરી પડ્યો હતો. આથી, પ્રથમ યુવકને મોડાસા હોસ્પિટલ ખાતે એડમિટ કરાયો ને બાદમાં યુવકને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલમાં યુવકના રિપોર્ટસની રાહ જોવાઇ રહી છે. કારણ કે યુવકના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે આખરે યુવકનું તાવ આવ્યાના માત્ર 24 કલાકમાં જ મોત કઇ રીતે નિપજ્યું. હાલમાં યુવકનો મૃતદેહ અરવલ્લી લાવી દેવાયો છે.
પાલનપુર સિવિલમાં સ્વાઇન ફ્લુથી એક સગર્ભા મહિલાનું પણ મૃત્યુ
બીજી બાજુ બનાસકાંઠાની પાલનપુર સિવિલમાં સ્વાઇન ફ્લુથી એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું છે. સિવિલમાં સારવાર અર્થે આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર અર્થે આવેલી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું. નોંધનીય છે કે, પાલનપુરમાં ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે. પાલનપુર અર્બન વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો.
અત્રે તમને જણાવી દઇએ કે, વિશ્વભરમાં મંકીપોક્સ નામના રોગે પણ હાહાકાર મચાવ્યો છે. એવામાં રાજ્યમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જામનગરમાં શંકાસ્પદ મંકીપોક્સનો દર્દી મળ્યો આવ્યો હતો. આ અંગે આરોગ્ય વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ જામનગરમાં 29 વર્ષીય યુવકમાં મંકીપોક્સ રોગના લક્ષણો દેખાતા તેનું સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયું હતું. જો કે આ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને હાશકારો અનુભવ્યો છે.