તાપીઃ આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા સમાજમાં એટલી હદે પ્રવર્તી રહી છે કે એક યુવાનમાં ડાકણ હોવાના વહેમને લઈને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. આવુ જ બન્યું તાપી જીલ્લામાં માતાજી બનેલી એક ૧૮ વર્ષીય યુવતીના ઇશારે તેના ચેલાઓ દ્વારા ડાકણ કાઢવા માટે ઢોર માર મરાયો જેણે કારણે યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
માતાજી બનેલી યુવતી- તારા શરીરમાં પાંચ ડાકણ છે
તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાટીસકુવા ગામમાં ચોંકાવનારી ઘટના બની. ગામમાં રહેતા બે સંતાનોના પિતા ૩૨ વર્ષીય યુવાન રાજેશભાઈ દેવજીભાઈ વસાવા નવરાત્રીના સમયથી ગામમાં રહેતા અને પોતાને માતાજી આવતા હોવાનો દાવો કરતી ૧૮ વર્ષીય વિન્તુબેન વસાવાના ઘરે દર્શને જતા હતા. રાજેશભાઈને બે-ત્રણ દિવસ પહેલા શરીરે ધ્રુજારી આવતા તેઓ માતાજી પાસે ગયા હતા. જ્યાં માતાજીએ રાજેશભાઈના શરીરમાં પાંચ ડાકણ હોવાનું કહી વિધિ આરંભી હતી. ત્રણ ડાકણ નીકળી ગઈ છે એમ કહ્યા બાદ તેમના ચેલાઓને વિમાર રાજેશભાઈના શરીરમાંથી ડાકણ કાઢવા માર મારવાનું જણાવ્યું હતું. આધુનિક યુગમાં પણ આ યુવાન સાથે અત્યંત ક્રુરતાપૂર્વક કૃત્ય આચરવામાં આવ્યું. ચપ્પુ ગરમ કરીને યુવાનના શરીરે તેમજ પગમાં ડામ આપી ઊંચકીને અફાડી થપ્પડો તેમજ મૂંઢ માર મારવામાં આવતા યુવાન બેભાન થઇ ગયો હતો.
અલગ અલગ મંદિરે લઇ જવાયો
યુવાનને ઢોર માર માર્યા બાદ પરિસ્થિતિ હાથમાંથી જતા માતાજી વિન્તુબેને આ યુવાનને સાજો થઇ જશે એમ કહી અલગ અલગ મંદિરે લઇ જવાયો હતો. જો કે યુવક રાજેશભાઈની હાલતમાં કોઈ ફેર નહિ જાણતા તેને પરત કાટીસકુવા ગામે લઇ આવ્યાં હતો. જ્યાં રાજેશભાઈના પરિવારજનોએ ૧૦૮ બોલાવતા ૧૦૮ના તબીબે રાજેશભાઈને મૃત જાહેર કરતા મામલો ઉચ્છલ પોલીસ મથકે પહોચ્યો હતો.
અંતરિયાળ ગામોમાં પગ પેસારો કરી ગયેલ લાલબત્તી સમાન અંધશ્રદ્ધા
હાલ તો પોલીસે ગુનાની ગંભીરતા જોઇને એફએસએલની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી માતાજી વિન્તુબેન વસાવા સાથે તેના એક સાગરિતની ધરપકડ કરી. તેમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે ત્યારે અન્ય ચાર ફરાર લોકોની પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આદિવાસી બહુલતા ધરાવતા એવા તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પગ પેસારો કરી ગયેલ લાલબત્તી સમાન અંધશ્રદ્ધા જેવી મોટી બીમારીને જડ મૂળમાંથી ઉખાડી નાખવાની તાતી જરૂર જણાઈ આવે છે.