વર્ષના અંતના સુર્યગ્રહણના દિવસે 22 વર્ષના યુવાને 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને પોતાના સ્ટેમસેલ દાન કરી જીવનભરનાં ગ્રહણને જાકારો આપ્યો. લાખે અથવા દસ હજારે એક વ્યક્તિના રક્તકણો લોહી સંબંધી બીમારી (લોહીનું કેન્સર, થેલેસેમિયા, લોહીની અન્ય બીમારી)થી દર્દીની સાથે મેચ થતા હોય છે.
22 વર્ષના યુવાને 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કર્યા
દસ હજારથી લઇને લાખો સુધી એકના મેચ થાય છે
બ્લડકેન્સર તેમજ થેલેસેમિયા મેજર બાળકોના તથા લોહીના રોગોના દર્દીઓના જીવ બચાવી શકાય
આપણા માનવશરીરમાં રહેલા સ્ટેમસેલ એ આપણે જાતે સર્જન કરેલી વસ્તુ નથી પરંતુ તે આપણને ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે કે જે દસ હજારથી લઇને લાખો સુધી એકના મેચ થાય છે. તો તેમાંથી થોડાક સ્ટેમસેલ આપણે જેમને જરૂરિયાત હોય અને મેચ થયા હોય તેમને આપીએ અને તેમને નવજીવન મળવાનું છે. તો આ એનાથી મોટો આનંદ શુ હોય"
આવી ફિલસૂફીભરી વાત સાંભળીને આપને એમ થશે કે આ કોઈ મોટી ઉંમરના વ્યક્તિની લાગે પરંતુ આ વાત છે સુરતના એક 22 વર્ષના યુવાનની નામ એનું મિત રમેશભાઈ હિરપરા મૂળ સૌરાષ્ટ્રમા આવેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામના અને હાલ સુરત સ્થાયી થયેલ મિત પોતાના સ્ટેમસેલનું દાન કરીને એક થેલેસેમિયા મેજર બાળકને નવજીવન આપશે.
સુરતનો આ યુવાન M.comસુધીનો અભ્યાસ કરીને ત્યારબાદ સુરતની વરાછા કો.ઓપ. બેંક માં સર્વિસ કરે છે. તેમની વિશેષતા એ છે કે તે પોતે બાળપણથી સમાજસેવા કરવાની ઇરછા ધરાવે છે અને પોતે છેલ્લા 10 વર્ષથી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર તરીકે સેવામા જોડાયેલા છે ત્યાંથી જ તેમને સમાજસેવાના પાઠ શીખેલા અને તેઓએ 2017થી Child and Youth Revolution Foundationમાં સક્રિય રીતે કાર્ય કરે છે.
મેચ કેવી રીતે થયું?
સુરતમાં જય જવાન નાગરિક સમિતિ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા ગયેલા અને ત્યાં દાત્રી સંસ્થાના કાર્યકરોએ એક કાઉન્ટર રાખ્યું હતું. ત્યાં દાત્રીના કાર્યકરો સ્ટેમસેલ ડોનેશન અંગે સમજ આપતા હતા. જો મેચ થાય તો ડોનેશન કરવા રાજી હોય તેનું લાળનું સેમ્પલ લઈને રજીસ્ટ્રેશન કરતા હતા.
આથી બીજાના ભલામાં આપણું ભલુંની ભાવના સાથે સેમ્પલ તરીકે નોંધણી કરાવી અને 2 વર્ષ બાદ અચાનક દાત્રી સંસ્થાના કાર્યકરનો મિત હિરપરા પર કોલ આવ્યો કે તમારા સ્ટેમસેલ 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળક સાથે મેચ થયા છે અને તમે તેમને આપશો તો તેમને નવજીવન મળશે.
સ્ટેમસેલ મેચ થયા બાદ મિતે વધુ જાણકારી માટે હિમેટોલોજીસ્ટનો સંપર્ક કર્યો અને આ બાબતે વધુ માહિતી મેળવી અને જે પ્રશ્નો હતા તે દૂર કર્યા અને ત્યારબાદ આશીર્વાદ મેળવવા માટે તેમણે BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજને આ વાત જણાવી અને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ડોનેશન કરવાનું નક્કી કર્યું હતું અને રક્તકણો દાન કર્યા.
સામાજિક સંદેશો
આ અંગેની વાતચીતમાં મીત હિરપરા ખાસ અપીલ કરે છે કે સામાજિક સંસ્થાઓ ખાસ સ્ટેમસેલ અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે એક જનઆંદોલન ચલાવે અને લોકોમાં આ બાબતે ઘણી ગેરસમજ છે. તે દૂર કરી લોકો સ્ટમસેલના દાન અંગે પ્રેરાઈ જેથી બ્લડ કેન્સર, થેલેસેમિયા મેજરનો ભોગ બનેલ બાળકોને પીડા માંથી મુક્ત કરી શકીએ. સ્ટેમ સેલ દાનમાં આપનારે કઇ ગુમાવવાનું નથી. પણ મેળવવાનું ઘણું બધું છે. સંતોષ, કોઈનું ભલું કર્યાનો આંનદ અને એક નિઃસ્વાર્થ સેવા દ્વારા શાંતિનો અનુભવ. તો ચાલો સૌ સાથે મળીને કોઈ માસૂમના જીવનમાં ખુશીનો દીપ પ્રગટાવીયે.
આપ પણ સ્ટેમસેલ ડોનેશન કરીને કોઈનો જીવ બચાવી શકો છો
સ્ટેમસેલ ડોનેશન માટે ભારતમાં 2009 માં દાત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું વડુ મથક ચેન્નઈમાં આવેલું છે. અને ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. શરૂઆતમાં 3000 દાતાઓનું સેમ્પલનું રજીસ્ટ્રેશન થયું હતું. અત્યારે 5 લાખ ડોનર રજીસ્ટર થયેલા છે. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ૧૧૨ સહિત કુલ 663 ડોનેશન ભારતમાંથી થયા છે. તેટલા લોકોને નવજીવન આપવામાં દાત્રી સંસ્થા મધ્યસ્થી તરીકેનું સેવાનું કાર્ય કરે છે. જો આપ પણ આ ડોનેશન કરી કોઈને જીવનદાન આપવા ઈચ્છતા હોઈ તો આપ પણ DATRI સંસ્થામાં આપના લાળના સેમ્પલ આપીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
સ્ટેમસેલ ડોનેશન શા માટે મહત્વનું?
થેલેસેમિયા મેજર સ્ટેજમા દર્દીને સ્ટેમસેલની જરુર પડે છે જેમાં તેમના ભાઈ-બહેનના સ્ટેમસેલ અથવા જન્મતી વખતે નાળમાંથી સ્ટેમસેલ કાઢી બેન્કમાં રાખીને અને અથવા અનરીલેટેડ ડોનર પાસેથી દાન તરીકે મેળવી શકાય અને દર્દીને ચડાવવામાં આવે તો તેમને બીમારી દૂર થાય છે અને જીવ બચી જાય છે.
થેલેસેમિયા મેજરના રોગમા દર્દીના લોહીમા રક્તકણો, ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રામાં બનતા હોવાથી દર્દીને બહારથી વારંવાર લોહી ચઢાવવાની જરુર પડે છે . લાંબા ગાળે થેલેસેમિયા મેજર બાળકને બચાવવા મુશ્કેલ હોય છે. જો આ દર્દીનું મેચ HLA મળી જાય તો જ તેમના સ્ટેમસેલ દર્દીને ચડાવવામાં આવે તો બચાવી શકાય છે.
સ્ટેમસેલ આપવાની સરળ પ્રકિયા
થેલેસેમિયા મેજર દર્દીને (ખાસ કરીને બાળકો જ હોય છે) રક્તકણો, ત્રાકકણો અને શ્વેતકણો બહારથી આપવામાં આવતા હોય છે. તે પ્રક્રિયા દર્દીને અમુક દિવસે કરવી પડતી હોય છે અને વિવિધ રીતે આપી શકાય છે. HLA (human leukocyte antigen) મેચ થયા બાદ ડોનર ના તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે. તેના સ્ટેમસેલ લઈને દર્દીને આપવા માટે યોગ્ય હોય તો તેમના સ્ટેમસેલ PBSC (Peripheral Blood Stem Cell Donation) દ્વારા લેવામાં આવે છે. ત્યારબાદ દર્દી સુધી પહોંચાડી તેમને આ આપવામાં આવે છે. સ્ટેમસેલ ડોનેશન એ સરળ પ્રક્રિયા છે આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો ઘણા દર્દીઓના જીવ બચી શકે છે. ડોનેશન કરવાથી ડોનરને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી.
ઓળખ છૂપી રખાય છે
રક્તદાન જીવતદાન મહાદાન બની ગયુ છે, જ્યારે સ્ટેમસેલ જીવનદાન બની ગયુ છે. સ્ટેમશેલ ડોનેશન આપનાર અને લેનાર વ્યક્તિઓની ઓળખ છુપી રાખવામાં આવે છે. આપનારના પરિવારજનોના સમંતિ દ્વારા સમગ્ર પ્રક્રિયા એનજીઓના સહકારથી કરવામાં આવે છે. ખર્ચાળ ગણાતી સ્ટેમસેલ ડોનેશનની પધ્ધતિમા દર્દીની જીંદગી બચાવી શકાય છે પરંતુ લોકોમા જાગૃતિ મહત્વની બની ગઈ છે. ત્યારે બ્લડ ડોનેશન બાદ સ્ટેમસેલ ડોનેશન બાબતે જાગૃતિ બ્લડકેન્સર તેમજ થેલેસેમિયા મેજર બાળકોના તથા લોહીના રોગોના દર્દીઓના જીવ બચાવી શકાય તેમ છે. ત્યારબાદ દર્દી યોગ્ય થાય ત્યારે દાતા-દર્દીની મુલાકાત કરાવવામાં આવે છે.