અમદાવાદમાં ભેજાબાજો દ્વારા ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલના એકાઉન્ટમાં રૂપિયા 3 લાખ સેરવી લેવાયાનો કિસ્સો સામે આવ્યો છે.
ભારતીય સેનાના લેફટનન્ટ કર્નલ સાથે છેતરપિંડી
OLX ઉપર સોફા વેચવા જતા કર્નલે ગુમાવ્યા 3.19 લાખ
અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ઠગાઈની ફરિયાદ
અમદાવાદમાં કાર્યરત આર્મીના લેફ્ટનન્ટ કર્નલે આર્મી OLX પર સોફા વેચવા મુક્યો હતો તે ખરીદવાના બહાને ભેજાબાજોએ આર્મી ઓફિસર ના એકાઉન્ટમાંથી પૈસા સેરવી લીધા છે. મુળ બેંગ્લોરના અને એક વર્ષથી શાહીબાગ કેન્ટોનમેન્ટમાં રહેતા અર્જુન અનંતરામ શાસ્ત્રી ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ છે. ગત તારીખ 1લી માર્ચે જુનો સોફા વેચવા માટે OLX પર મુક્યો હતો. બીજા દિવસે ભેજાબાજોએ 35000ની કિંમત દર્શાવતાં સોફા ખરીદવા તૈયારી બતાવી હતી પે-ટીએમથી પેમેન્ટ કરવાનું કહીને કોડ મોકલાયો હતો.
OLX ઉપર સોફા વેચવા જતા કર્નલે ગુમાવ્યા 3.19 લાખ
કર્નલે કોડ સ્કેન કરતાં જ તેમના એકાઉન્ટમાંથી 24500 રૂપિયા કપાઈ ગયા હતા. રિફંડ આપવાના બહાને વધુ કોડ મોકલીને ચાર ટ્રાન્ઝેક્શનથી બીજા 51000 સેરવી લેવાયા હતા. પૈસા પરત આપવાનું બહાનું કરી બેનીફિશયરી એડ કરાવીને અર્જુન શાસ્ત્રીના એસબીઆઈના બીજા એકાઉન્ટમાંથી 98,666 રૂપિયા ત્રણ ટ્રાન્ઝેક્શન કરી સેરવી લીધા હતા. જે અંગે જ્યારે કર્નલે પુછ્યું તો ભેજાબાજોએ ભૂલથી પૈસા કપાઈ ગયાં છે તેવી વાત કરી બીજો એકાઉન્ટ નંબર મગાયો હતો. અર્જુન શાસ્ત્રીએ તેમના મિત્ર સંદિપ વર્માનો નંબર આપતાં તેમના એકાઉન્ટમાંથી 40500 સેરવી લેતા બે ટ્રાન્ઝેક્શન થયાં હતાં. આ પછી બીજા મિત્ર શિવાંગી શર્માના એકાઉન્ટમાંથી 80000 ટ્રાન્સફર કરી લેવાયા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ઠગાઈની ફરિયાદ
આ પછી લેફ્ટનન્ટને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પૈસા પરત કરવા જણાવાયું હતું. ત્યારે ભેજાબાજોએ કહ્યું કે, તમારી સાથે વાતચિતમાં આખો દિવસ બગડયો અને ધંધાનો સમય બગડયો છે તેમ કહી સાંજે ફોન બંધ કરી દીધો હતો. જેથી લેફ્ટનન્ટે કર્નલે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં અજાણ્યા ઈ-ચિટર સામે કુલ ત્રણ લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.