વસ્ત્રાપુરમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં ફરજ બજાવતા અધિકારી દ્વારા ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં પાંચ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. બેંક દ્વારા રિકવરીના કાર્યવાહિ શરૂ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.
બેંક કર્મીઓએ દસ્તાવેજની ખરાઈ કર્યા વગર લોન આપી દીધી
રિકવરીની કાર્યવાહી શરૂ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો
બોગસ ડોક્યુમેન્ટના આધારે બેન્ક પાસેથી ૧.૪૬ કરોડ રૂપિયાની લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ કર્યો છે. દેના બેન્કના મેનેજરે ડોક્યુમેન્ટનું ઇન્વેસ્ટિગેશન કર્યા વગર વેપારીને ૧.૪૬ કરોડ રૂપિયાની લોન આપી દીધી હતી. વેપારીએ લોનની ભરપાઇ નહીં કરતાં બેન્કના કર્મચારીઓએ રિકવરીની કાર્યવાહી શરૂ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
લોન લેવા માટે બેંકમાં દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા
વસ્ત્રાપુરમાં જીવનધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને બેન્ક ઓફ બરોડામાં ફરજ બજાવતા યજ્ઞેશનારાયણ પાઠકે ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં મનોજ ગજેરા, તારાચંદ મારવાડી, પ્રવીણ પટેલ, કુલદીપ સકસેના, ઇન્દુપ્રસાદ પટેલ અને અશોક પટેલ વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. બેન્ક ઓફ બરોડા અને દેના બેન્ક વર્ષ ર૦૧૯માં મર્જ થઇ ગયાં છે. દેના બેન્કની વાસણા બ્રાંચના મેનેજર કુલદીપરાજ સકસેના હતા ત્યારે ક્રિષ્ના ટેક્સટાઇલના માલિક મનોજ ગજેરાએ ૬૦ લાખ રૂપિયાની સી.સી. લોન અને ૮૬ લાખ રૂપિયાની ટર્મ લોન લેવાની વાત કરી હતી. મનોજ ગજેરાએ લોન લેવા માટે ક્રિષ્ના ટેક્સટાઇલના દસ્તાવેજી પુરાવા, ફાઇનાન્શિયલ રિપોર્ટ, ભાડા કરાર, પાનકાર્ડ, આધારકાર્ડ રજૂ કર્યાં હતાં. દસ્તાવેજોની ખરાઇ કર્યા વગર બેન્કના કર્મચારીએ તેને લોન આપી દીધી
આ સાથે લો ગાર્ડન ખાતે આવેલા એક ફ્લેટના વેચાણ અંગેની નોટરી, દસ્તાવેજની નકલ રજૂ કરી હતી. તમામ ડોક્યુમેન્ટ રજૂ થઇ ગયા બાદ બેન્ક દ્વારા ૧.૪૬ કરોડ રૂપિયાની લોન મંજૂર થઇ ગઇ હતી. લોનની ભરપાઇ નહીં કરતાં અંતે મનોજના ઘરે બેન્કની ઉઘરાણી શરૂ થઇ ગઇ હતી. વર્ષ ર૦૧૮માં મનોજ ગજેરાએ લોન લીધી હતી. મનોજે મૂકેલા દસ્તાવેજોની ખરાઇ કર્યા વગર બેન્કના કર્મચારીએ તેને લોન આપી દીધી હતી. લોન નહીં ભરી શકતાં બેન્કના કર્મચારીઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં લો ગાર્ડનના ફ્લેટનો દસ્તાવેજ ખોટો હતો તેમજ બીજા તમામ ડોક્યુમેન્ટ પણ ખોટા હતા. મનોજે સમયસર લોન નહીં ભરતાં મૂડી, વ્યાજ સહિત કુલ ર.૩૦ કરોડ રૂપિયા ભરવાના બાકી નીકળે છે.