તમે પોતે જ રાજીનામું ધરી વિશ્વાસ મતનો સામનો કર્યો ન હતો: સુપ્રીમ કોર્ટ
તમે વિશ્વાસ મતનો સામનો કરવા માંગતા ન હતા: સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના ભાગલા સાથે શરૂ થયેલો સત્તાનો સંઘર્ષ હજુ પણ યથાવત છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે પોતે જ રાજીનામું ધરી વિશ્વાસ મતનો સામનો કર્યો ન હતો. તમે વિશ્વાસ મતનો સામનો કરવા માંગતા ન હતા.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે ગુરુવારે સુપ્રીમ કોર્ટને મહારાષ્ટ્રના તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના જૂન 2022ના આદેશને બાજુ પર રાખવા વિનંતી કરી હતી, જેમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં તેમની બહુમતી સાબિત કરવા કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ,જો આમ નહીં કરવામાં આવે તો લોકશાહી જોખમમાં આવી જશે. ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ આદેશને રદ કરવાની અપીલ કરી હતી.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?
સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન (ઉદ્ધવ ઠાકરે) ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વિના રાજીનામું આપી દે છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, જો તમે રાજીનામું ન આપ્યું હોત તો સરકારને પુનઃસ્થાપિત કરવી એ તાર્કિક બાબત હતી, તમે વિશ્વાસ મત ગુમાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એવું નથી કે વિશ્વાસ મતના કારણે તમને સત્તા પરથી હટાવવામાં આવ્યા છે. તમે વિશ્વાસ મતનો સામનો કરવા માંગતા ન હતા. સીજેઆઈએ કહ્યું કે, જો તમે વિશ્વાસ મત ગુમાવ્યો હોય તો તે તાર્કિક વાત હશે, એવું નથી કે તમને સરકાર દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે, તમે વિશ્વાસ મતનો સામનો કર્યો નથી. CJI ચંદ્રચુડે કહ્યું કે, એવું લાગે છે કે કોર્ટને એવી સરકારને પુનઃસ્થાપિત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જેણે સ્વીકાર્યું હતું કે તે લઘુમતીમાં છે.
આ દરમિયાન જસ્ટિસ શાહે પૂછ્યું કે, જેમણે ફ્લોર ટેસ્ટનો સામનો પણ કર્યો નથી તેવા મુખ્યમંત્રીને કોર્ટ કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે? તેના પર અભિષેક મનુ સિંઘવીએ માત્ર એટલું જ કહ્યું કે, રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટ ગેરકાયદેસર રીતે બોલાવવામાં આવ્યો હતો. આજે પણ ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે, અહીં કોઈ ચૂંટણી થઈ નથી.