ભારતીય સંસ્કૃતિમા પિતૃઓને ખુબ મહત્ત્વ આપવામાં આવ્યુ છે. પિતૃઓને આપણે ત્યાં ભગવાન માનવામાં આવે છે. એવુ પણ કહેવાય છે કે જે વ્યક્તિ પર પિતૃઓની કૃપા થાય તેને જીવનમાં કોઇ પણ પ્રકારની અડચણો આવતી નથી.
આપણા ત્યાં પિતૃઓને મોક્ષ મળે અને તેમના આત્માની સદગતિ થાય તે માટે પિંડદાન અને પિતૃતર્પણ કરવાનુ ખુબ મહત્ત્વ છે. આમ તો પિંડદાન અને પિતૃતર્પણ માટે ભારતમાં અનેક તીર્થો ભારતમાં આવેલા છે. પરંતુ આ તમામ તીર્થો પૈકી ગયા તીર્થને સર્વોત્તમ ગણવામાં આવે છે. આતીર્થના મહત્ત્વ સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. બિહારના ફલ્ગુ તટ પર કરવામાં આવેલુ પિંડદાન સર્વશ્રેષ્ઠ છે. અહીં દર વર્ષેહજારો લાખોની સંખ્યામા લોકો પિતૃતર્પણ માટે આવે છે.
વર્ષોથી ચાલી આવતી પિંડદાનની પરંપરા સમયની સાથે બદલાઇ રહી છે. 15 દિવસનો પિતૃપક્ષ શરુ થઇ ચુક્યો છે. બિહારના ગયાતીર્થમાં લોકો પિતૃઓને મોક્ષ માટેની વિધિ કરવા મોટી સંખ્યામાં આવતા હોઇ પર્યટન વિભાગે આ વર્ષે ઇ-પિંડદાનનુ પેકેજ લોંચ કર્યુ છે. પર્યટન વિભાગના આ નવા પેકેજને તીર્થ પુરોહિતો ધર્મ સાથે મજાક ગણાવી રહ્યા છે.
બિહાર રાજ્ય પર્યટન વિકાસ નિગમે ઇ-પિંડદાનનુ પેકેજ લોંચ કર્યુ છે. આ દરમિયાન દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ પોતાના પિતૃઓને પેકેજના માધ્યમથી ઘરે બેઠા તર્પણ અને પિંડદાનનુ કર્મકાંડ પુરુ કરશે. આ માટે 19 હજાર રૂપિયાની સાથે 950 રુપિયા જીએસટીના ખર્ચવા પડશે. પર્યટન વિભાગે આ પેકેજમાં બેન્ક ઓફ ઇન્ડિયાના નંબરની જાહેરાત કરી છે.
આ બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા બાદ રજિસ્ટ્રેશન કરાવીને ગયામાં પિતૃઓને તર્પણ અને પિંડદાન કરી શકાશે. જમા કરાવેલી આ રકમમાં વિષ્ણુપદ મંદિર અને અક્ષયવટમાં પિંડદાન અને ફલ્ગુમાં તર્પણ કરાવાશે. આ ઉપરાંત પુજન સામગ્રી, પંડિત અને પુરોહિત પર થતો ખર્ચ, કર્મકાંડની વીડિયોક્લીપ અને ફોટોગ્રાફ તમામ શ્રધ્ધાળુઓને પિંડદાન બાદ ઉપલબ્ધ કરાવાશે.પર્યટન વિભાગના ઇ-પિંડદાન પેકેજને ગયાપાલ તીર્થ પુરોહિતો યોગ્ય ઠેરવી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે સદીઓથી ચાલી આવતી
પરંપરા મુજબ પિંડદાનના મુળમાં પુત્રને ગયાજી આવીને ફલ્ગુમાં સ્નાન અને વિષ્ણુપડમાં પિંડદાનને ફળદાયી કહેવાયુ છે. ગ્રંથોમાં પણ આ વાત કહેવાઇ છે, પરંતુ સમય સાથે તેમા ઘણા પરિવર્તનો આવ્યા છે.