આજે લખનૌમાં CM યોગી આદિત્યનાથનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં The Kashmir Files ના ડાયરેક્ટર Vivek Agnihotri સહિત બૉલીવુડની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યા છે.
લખનૌમાં CM યોગી આદિત્યનાથનો શપથગ્રહણ સમારોહ
બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પણ આમંત્રિત
ઉદ્યોગ જગતની હસ્તીઓને આમંત્રણ
આજે લખનૌમાં CM યોગી આદિત્યનાથનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં દેશના જાણીતા ચહેરાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમિતાભ બચ્ચન પણ આમંત્રિત
પૂર્વ મુખ્યમંત્રી માયાવતી અને અખિલેશ યાદવને પણ ફોન કરીને આમંત્રણ અપાયું હોવાની વાત મળી છે. તો સદીના મહાનાયક બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન પણ આમંત્રણથી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે એવી શક્યતા છે.
કોંગ્રેસનાં મહાસચિવ અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉદ્યોગ જગતની હસ્તીઓને આમંત્રણ
આ સિવાય ઉદ્યોગ જગતની હસ્તીઓ જેમ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા સહિત ઘણા બધા ઉદ્યોગ પતિઓને પણ શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અક્ષય કુમાર, કંગના રનૌત અને અજય દેવગણ તેમજ ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
યોગી આદિત્યનાથ આજે શુક્રવારે સતત બીજી વખત ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. આ સાથે જ તેઓ રાજ્યના પ્રથમ એવાં મુખ્યમંત્રી બનશે કે જેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને ફરીથી રાજ્યની સત્તા સંભાળશે. ગુરુવારે, ભાજપના ધારાસભ્ય દળે સર્વસંમતિથી યોગીને તેના નેતા તરીકે ચૂંટાયા. ત્યાર બાદ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેઓએ યોગીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. યોગી આદિત્યનાથ શુક્રવારે સાંજે 4 કલાકે અટલ બિહારી વાજપેયી ઇકાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ભાજપ વિધાનમંડળ પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક ગૃહમંત્રી અમિત શાહ, સહ-નિરીક્ષક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવર દાસ, ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં અને સંગઠન પ્રભારી રાધા મોહન સિંહની હાજરીમાં લોકભવનમાં એનડીએ વિધાનમંડળ પક્ષની બેઠક યોજાઈ હતી. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સુરેશ ખન્નાએ યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૂર્ય પ્રતાપ શાહી, બેબીરાની મૌર્ય, નંદગોપાલ ગુપ્તા નંદી, રામ નરેશ અગ્નિહોત્રી અને સુશીલ શાક્યએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ત્યાર બાદ યોગીને સર્વસંમતિથી નેતા પસંદ કરવામાં આવ્યા હતાં. અપના દળ (એસ) નાં આશિષ પટેલ અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે પણ ટેકો જાહેર કર્યો હતો.
PM મોદીની હાજરીમાં લગભગ 45 મંત્રીઓ શપથ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓની હાજરીમાં યોગી રાજ્યપાલ આનંદીબેન પટેલ આદિત્યનાથને શપથ લેવડાવશે. તેઓની સાથે લગભગ 45 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.
37 વર્ષ બાદ એક જ પાર્ટી ફરી સત્તામાં
યોગીએ સત્તા સંભાળતાની સાથે જ યુપીમાં છેલ્લાં 37 વર્ષમાં પહેલી વાર એવું બનશે કે, જ્યારે કોઈ એક પક્ષની સરકાર ફરીથી સત્તા સંભાળશે.
ઉપ મુખ્યમંત્રી પર સસ્પેન્સ ચાલુ
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી. વર્ષ 2017માં વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યાર બાદ કેશવ પ્રસાદ મૌર્ય અને ડૉ. દિનેશ શર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ગુરુવારે મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની જાહેરાતને લઈને અટકળો થઈ રહી હતી, પરંતુ પાર્ટીએ સસ્પેન્સ જાળવી રાખ્યું છે.
હવે સ્પર્ધા પોતાનાથી શરૂ થશે
યોગી આદિત્યનાથે કહ્યું કે, સરકારના પ્રથમ કાર્યકાળમાં કુશાસનમાંથી સુશાસન સ્થાપિત કરવાની પ્રતિસ્પર્ધા હતી. પરંતુ હવે સુશાસનને વધુ મજબૂત કરવા શું કરવું જોઈએ તેની સ્પર્ધા છે. યોગીએ કહ્યું કે, હવે પોતાની સાથે સ્પર્ધાનો યુગ શરૂ થશે. બધાએ તેની માટે તૈયાર રહેવું પડશે.