હાથરસમાં દીકરી સાથે થયેલા જઘન્ય અપરાધ બાદ દેશભરમાં ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. યોગી આદિત્યનાથની સરકાર પણ સવાલોના વંટોળમાં ફસાઈ છે. એવામાં રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મામલે ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખાસ યોજનાની શરૂઆત કરાવી છે.
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજય સરકાર દરેક દીકરી અને મહિલાનું સન્માન અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તથા તેમના સ્વાવલંબન માટે કટિબદ્ધ છે. જે નારીના સ્વાભિમાનને દુષિત કરવાના પ્રયત્ન કરશે, દીકરીઓ પર ખરાબ નજર નાખશે, તેમના માટે ઉત્તર પ્રદેશની ધરતી પર કોઈ સ્થાન નથી. આ લોકો સભ્ય સમાજ માટે કલંક છે. ઉત્તર પ્રદેશ સરકાર આવા આરોપીઓથી કઠોરતાથી કામ કરશે અને આ લોકોની દુર્ગતિ નિશ્ચિત છે.
નોંધનીય છે કે નારી સન્માન, સુરક્ષા અને સ્વાવલંબન માટે ઉત્તરપ્રદેશમાં અભિયાન શરુ કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથે બલરામપુરથી જ 'મિશન શક્તિ'ની શરૂઆત કરાવી છે. નવરાત્રીથી જ આ અભિયાનનું શ્રીગણેશ કરાવીને યોગી આદિત્યનાથે કહ્યું કે નારી 'શક્તિ'નું પ્રતિક છે. આપણી સનાતન પરંપરામાં નારી પૂજનીય છે, વંદનીય છે. મિશન શક્તિ આ જ દિશામાં એક પ્રયત્ન છે.
યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે દીકરા-દીકરીમાં કોઈ ભેદ ન નથી, ગર્ભમાં જ દીકરીઓની હત્યા અને બાળવિવાહની ટીકા થવી જોઈએ.
નોંધનીય છે કે હાથરસ બાદ બલરામપુરમાં પણ આવી જ ઘટના થઇ હતી જ્યાં દીકરી સાથે નરાધમોએ દુષ્કર્મ કર્યું. તે ઘટનાનો ઉલ્લેખ કરતા સીએમ આદિત્યનાથે કહ્યું કે મિશન શક્તિ તે બાલિકાનું શ્રદ્ધાંજલિનું સ્વરૂપ છે.